રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

રાજકોટઃ  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો આજે સવારે 7.41 સૌરાષ્ટ્રભરમાં અનુભવવામાં આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ 4.8ની હતી. આ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવતાં સ્થાનિક લોકો સફાળા ઘરની બહાર આવી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટની નજીક 22 કિલોમીટર દૂર ગોંડલ પાસે નોંધાયું છે. છેલ્લા એક મહિનામાં આ ભૂકંપનો બીજો મોટો આંચકો છે. છેલ્લા એક મહિનામાં નાના-મોટા 14 આંચકા અનુભવાયા છે. જોકે સિસ્મોલોજિસ્ટે કહ્યું હતું કે હજી બે-ત્રણ દિવસ હજી આફ્ટર શોક્સ આવશે, પણ હાલ મોટો ભૂકંપ આવવાની શક્યતા નથી.

મુખ્ય પ્રધાને પણ આ ભૂકંપની વિગતો મેળવી  

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ આ ભૂકંપની વિશે માહિતી મેળવી રહ્યા છે. તેમણે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી છે. આ ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.

અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા

આ ભૂકંપ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જસદણ, ચોટિલા, જામનગર વડિયા, ભાવનગર કોટડાસાંગણા, ગોંડલ અને દેવભૂમિ દ્વારકા સહિતના અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. અમરેલીના કેટલાક વિસ્તારોમાં આ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવતાં સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લોકોને ફરી 2001ના ભૂકંપની યાદ આવી ગઈ હતી.  એક બાજુ કોરોનાનો કહેર છે અને બીજી બાજુ ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અનેક સોસાયટીઓમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા.