કોરોના સંક્રમિતોના નવા 32,695 કેસ, 606નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત ચોથા દિવસે 28,000થી વધુ કોરોના સંક્રમિતોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 32,695 નવા કેસ સામે આવ્યા છે અને 606 લોકોનાં મોત થયાં છે. આ એક દિવસમાં આવેલો દેશમાં કોરોના સંક્રમિતોનો સૌથી વધુ આંકડો છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 9,68,876 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 24,915 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 6,12,814 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,31,146એ પહોંચી છે. રિકવરી રેટ 63.25 ટકાથી વધુ થયો છે.

દેશમાં 14 જુલાઈ સુધી 1,27,39,490 કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. ગઈ કાલે 3,26,826 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે.

વિશ્વમાં 24 કલાકમાં કોરોનાના 2.32 લાખ નવા કેસ

વિશ્વમાં પ્રતિદિન બે લાખથી વધુ કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. પાછલા 24 કલાકમાં વિશ્વમાં કોરોના સંક્રમિતોના 2.32 લાખ નવા કેસ સામે આવ્યા છે અને 5693 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં કોરોના 1.36 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ રોગે અત્યાર સુધી 5.86 લાખ લોકોનો ભોગ લીધો છે. વિશ્વમાં પ્રતિ દિન કોરોનાથી સૌથી વધુ મોત બ્રાઝિલમાં થઈ રહ્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.