૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઃ ૧.૫૨ કરોડથી વધુ કોલ એટેન્ડ કરાયા

ગાંધીનગરઃ રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી અને વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમર્જન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના તમામ જિલ્લાના શહેરો, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા ૨૪x૭ વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશીર્વાદ સમાન છે.

રાજ્યમાં આરોગ્ય સેવા ક્ષેત્રે ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમર્જન્સી સેવા શરૂ થઈ ત્યારથી ઓગસ્ટ-૨૦૨૩ સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ ૧.૫૨ કરોડથી વધુ ઇમર્જન્સી કોલ સફળતાપૂર્વક એટેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૫૧.૩૭ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઇમર્જન્સી અને માર્ગ અકસ્માતના કિસ્સામાં ૧૮.૭૨ લાખથી વધુ ઇમર્જન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન-મરણનો સવાલ હોય તેવી ઇમર્જન્સી સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ ૧૪ લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે  અને એમ્બ્યુલન્સમાં અને જેતે સ્થળ ઉપર કુલ ૧.૩૨ લાખથી વધુ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.રાજ્યના અમરેલી, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, વલસાડ અને અમદાવાદના ૧૦૮ના ઇમર્જન્સી મેડિકલ ટેકનિશિયન્સ-EMTs અને પાયલોટે ઇજાગ્રસ્તો પાસેથી મળેલી અંદાજે રૂ. ૧૯.૩૩ લાખની કિંમતની વસ્તુઓ-રોકડ પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ સાથે વર્ષ ૨૦૧૭માં શરૂ કરાયેલી ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન દ્વારા કુલ ૪૮.૬૮ લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૮માં શરૂ કરાયેલી ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ દ્વારા ૬૫૪ જેટલા નાગરિકોનો જીવ બચાવવામાં આવ્યો છે. હાલમાં ગુજરાતમાં બે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. રાજ્યના આઠ જિલ્લાઓમાં વર્ષ ૨૦૧૯થી કાર્યરત ૧૧૨ ઇમરજન્સી સેવા અંતર્ગત ૧.૪૩ કરોડથી વધુ ઇમરજન્સી કોલ, પોલીસ ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી, મેડિકલ ઇમરજન્સી અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં નવતર પહેલના ભાગરૂપે વર્ષ ૨૦૨૦માં ૧૧૦૦ ટેલિ મેડિસિન એટલે કે ઘરે બેઠા ટેલિફોન પર ડૉક્ટરનું માર્ગદર્શન અંતર્ગત તબીબી સલાહ, કાઉન્સેલિંગ, કોવિડ-૧૯ અને વિવિધ આરોગ્ય સંબંધિત સેવાઓ માટે કુલ ૨.૩૪ લાખથી વધુ કોલ તબીબી ટીમ દ્વારા સફળતાપૂર્વક એટેન્ડ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.