મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણનો નૂતન અઘ્યાય

ધરમપુર: મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય શરુ થયો છે. જેનું ઉદ્ઘાટન શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજી અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના શુભ હસ્તે થયું છે. અહીં ‘શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન’ની શરૂઆત કરવામાં આવી છે.

આ શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન 11 એકર જમીન પર અંદાજે 2 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલું છે. જે મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટેનું એક આધુનિક અને દૂરદૃષ્ટિપૂર્ણ સંકુલ છે. તે વાર્ષિક ૧૫,૦૦૦થી વધુ મહિલાઓને રોજગાર, તાલીમ, સુખાકારી સંસાધનો પ્રદાન કરશે અને ગ્રામીણ ભારતમાં સેટેલાઇટ કેન્દ્રો અને ભાગીદારી દ્વારા હજારો મહિલાઓ સુધી પહોંચશે.

આ સેન્ટર ગ્રામીણ મહિલાઓ માટે ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન સાકાર કરવા મહત્ત્વાકાંક્ષી વિકાસ લક્ષ્યો સાથે આગળ વધે છે. આ વિસ્તારમાં આશરે ૯,૬૦,૦૦૦ મહિલાઓ જેમાં ૫૫% આદિવાસી છે તેમને આ પરિયોજના દ્વારા અવનવા કૌશલ્યોમાં પ્રવીણ બનાવવાથી લઈને આવક, આત્મવિશ્વાસ અને આગેવાની સુધીની યાત્રામાં સાથ આપી આત્મનિર્ભર બનાવવા માટે એક પૂર્ણ સશક્તિકરણ વર્તુળ રચશે.

આ પ્રસંગે ખાસ હાજર રહેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ‘‘સંપૂર્ણપણે ગ્રામીણ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતું આવું અભિયાન મેં ક્યારેય જોયું નથી, આ ખરેખર એક નવીન વિચાર છે. આવી પરિકલ્પનાની પ્રેરણા અને સાકાર કરવા બદલ હું પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીને વંદન કરી આભાર માનું છું. આ યોજનાથી લાભાન્વિત થયેલ ગ્રામીણ મહિલાઓના મુખ પર આજે મેં જે સ્મિત જોયું તે ખૂબ જ વાસ્તવિક હતું. તે આત્મનિર્ભર ભારત અને વિકસીત ભારતના વિઝનને મૂર્તિમંત કરે છે. તે ભારતે વિશ્વને આપેલી એક આદર્શ પરિયોજના છે અને શ્રેષ્ઠતાનો એક માપદંડ સ્થાપિત કરે છે. મને આશા છે કે આ મિશન આ ઉમદા પ્રયાસને સમગ્ર વિશ્વમાં લઈ જવામાં સફળ થશે.”

તેમણે વધુમાં ઉમેર્યું, “આધ્યાત્મિકતાનો સાચો અર્થ વિચારની ઉન્નતિ, ભાવનાની ઉદારતા અને હૃદયની ભવ્યતામાં રહેલો છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર તેનું સાચું પ્રતિબિંબ છે. પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ પોતાનું આખું જીવન સામાજિક ઉત્થાન માટે સમર્પિત કર્યું છે. આવું નિઃસ્વાર્થ જીવન જ આધ્યાત્મિકતાનું સર્વોચ્ચ સ્વરૂપ છે, અને આવા મહાન આત્માઓ પાસેથી આપણને પ્રેરણા અને દિશા બંને મળે છે. શ્રીમદ્ રાજચંદ્રજીના કાલાતીત ઉપદેશો આજે પહેલા કરતાં વધુ સુસંગત છે. આ મિશન દ્વારા, પૂજ્ય ગુરુદેવશ્રી ખરેખર ભગવાન મહાવીર અને શ્રીમદ્ રાજચંદ્રજીના મૂલ્યોને વિશ્વમાં લઈ જઈ રહ્યા છે. તેઓ આવનારી પેઢીઓ માટે પાયો નાખનારા છે, અને ભારતને તેની મહાનતાની આગામી સીમા સુધી પહોંચવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.”શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના ઉપપ્રમુખ નેમિજીએ આ પરિયોજના પાછળના વિઝનને સમજાવતાં કહ્યું, ‘‘શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર શાંત પરિવર્તનમાં માને છે, ગુરુત્વાકર્ષણની જેમ અદૃશ્ય પણ અસરકારક. શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમનનો ઉદ્દેશ્ય મહિલાઓને નિર્ણય લેવાની ક્ષમતા, દિશા, માર્ગદર્શન અને આત્મનિર્ભરતા માટે સશક્ત બનાવવાનો છે. માનનીય સંરક્ષણ મંત્રીની અહીં હાજરી એક શક્તિશાળી સંદેશ આપે છે કે રાષ્ટ્રની શક્તિ ફક્ત તેની સરહદોમાં જ નહીં પરંતુ તેના સમાજના આત્મામાં રહેલી છે. જ્યારે મહિલાઓ સશક્ત બને છે ત્યારે પરિવારો, સમાજ અને રાષ્ટ્ર સશક્ત બને છે. આજના ઉદ્ઘાટન સાથે સેંકડો ગ્રામીણ અને આદિવાસી મહિલાઓ આત્મનિર્ભરતા તરફ એક નવી સફર શરૂ કરશે. મહિલા ઉત્થાનથી લઈને રાષ્ટ્ર નિર્માણના મોટા સંકલ્પ માટે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રતિબદ્ધ છે.’’

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગના મંત્રી નરેશભાઈ પટેલ, લોકસભા વ્હીપ અને સંસદ સભ્ય ધવલભાઈ પટેલ, મહારાષ્ટ્ર સરકારમાં કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાજી સહિત આ કેમ્પસના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ અને શાહ હેપીનેસ ફાઉંડેશનના ચીફ ગિવિંગ ઓફિસર શ્રી મનુભાઈ શાહ અને શ્રીમતી રીકાબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન સર્વાંગી વિકાસના ચાર-સ્તંભના અભિગમ દ્વારા મહિલાઓને સશક્તિકરણ પ્રદાન કરશે.

આર્થિક સશક્તિકરણ: ઉત્પાદન એકમોમાં મહિલાઓ સુગંધ, ખાદ્ય પદાર્થો, વસ્ત્રો અને હસ્તકલા સહિત ૩૦૦થી વધુ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે જે ૭૫૦થી વધારે આઉટલેટ્સ દ્વારા ૨૬ દેશોમાં નિકાસ થાય છે. સાથે જ તેમને ઉત્પાદન, સ્વચ્છતા, સોફ્ટ સ્કિલ, ERP વગેરેની તાલીમ તેમજ ડિજિટલ સાક્ષરતા યોગ અને કાર્યસ્થળ સલામતી આપવામાં આવશે.

કૌશલ્ય અને ક્ષમતા વિકાસ: અહીં ૧૦ વિવિધ થીમમાં ૬૦થી વધુ ડિજિટલ અને આધુનિક ઉચ્ચતર કક્ષાના કાર્યક્રમો પ્રદાન કરે છે. જેમ કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન અને રોબોટિક્સ, આરોગ્ય અને સુખાકારી, હસ્તકલા, રસોઇ કલા, સોંદર્ય અને કાપડ, ઉદ્યોગસાહસિકતા અને કાર્યસ્થળ કૌશલ્યનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારની માત્ર ૧૯% મહિલાઓએ કમ્પ્યુટરનો ઉપયોગ કર્યો છે અને માત્ર ૩૩% મહિલાઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે ત્યારે આ પરિયોજના ડિજિટલ અને AI લેબ્સ દ્વારા મહિલાઓને આ વિષયમાં સાક્ષરતા પ્રદાન કરશે.

સામાજિક સશક્તિકરણ અને સુખાકારી: મહિલાઓને આજીવિકા, શિક્ષણ અને નાણાકીય સુરક્ષામાં વધારો કરે એવા સરકારી લાભો અને યોજનાઓ માટે આ પરિયોજના યોગ્ય માર્ગદર્શન આપી મદદ કરશે. મહિલા જૂથો અને સહકર્મચારી વર્તુળમાં એકતા, આત્મવિશ્વાસ અને પરસ્પર સમર્થનને પ્રોત્સાહન આપશે. આ સાથે ધ્યાન, રમતગમત, યોગ અને અન્ય સુખાકારી પ્રવૃત્તિઓ દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપશે.

જ્ઞાન અને જાગૃતિ: આ પરિયોજના મહિલાઓના અધિકારો, આરોગ્ય સેવાઓ અને ડિજિટલ અને નાણાકીય સાક્ષરતાની તકો પ્રદાન કરશે. જેમાં રોજગારલક્ષી પ્રમાણપત્ર અભ્યાસક્રમો અને નેતૃત્વ કાર્યશાળાઓનો સમાવેશ થાય છે. કોઈ પણ મહિલા ઘરની જવાબદારીઓના કારણે પાછળ ન રહી જાય એ માટે અહીં ૬ મહીનાથી ૬ વર્ષના બાળકો માટે ડેકેર, ક્લિનિક, નર્સિંગ સુવિધાઓ, પોષણ કાર્યક્રમો, માનસિક સ્વાસ્થ્ય સહાય અને પરિવહન સેવાઓનો પણ સમાવેશ છે.