ગાંધીનગરના નવનિર્મિત બગીચાઓમાં નવા આકર્ષણો, વધુ સુવિધાઓ

ગાંધીનગર: મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 10.52 કરોડ રૂપિયાના ખર્ચે નવા બગીચાઓનું નિર્માણ અને રિનોવેશન કરવામાં આવ્યું છે. પાટનગર અને ગ્રીન સિટી તરીકે ઓળખાતા ગાંધીનગરના પ્રવેશદ્વાર એવાં ચ-૦ સર્કલ, સેક્ટર–૩૦ અને બોરીજ ખાતે આ નવનિર્માણ કરવામાં આવ્યું છે. શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે બગીચાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. ચ-૦ સર્કલ ખાતેના ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ માટે બનાવવામાં આવેલ તળાવ એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. અહીં આવતા નાગરિકોને વિવિધ વૃક્ષો અને ફૂલ-છોડથી ભરપૂર ગાર્ડન તથા તળાવની મુલાકાત લઈને તણાવમુક્ત વાતાવરણનો અનુભવ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ ગાર્ડનમાં સાપ્તી સંસ્થા દ્વારા બનાવેલ સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે, જે માનવ જીવનમાં મેડિટેશનથી થતાં લાભો વિશે માહિતી આપે છે. અહી નાગરિકોને ચાલવા માટે વોક-વે, બાંકડા, પીવાના પાણીની સગવડ, વોશરૂમ, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, સીસીટીવી કેમેરા જેવી અદ્યતન સુવિધાઓ કરવામાં આવી છે.

ગાંધીનગરના સેક્ટર–૩૦ તથા બોરીજ ખાતે નાગરિકો માટે અંદાજિત ૪.૫૨ કરોડના ખર્ચે બગીચાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. આ અદ્યતન બગીચામાં કસરત કરવા માટેના સાધનો સહિતના જિમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહી યોગ અને હળવી કસરત કરવા માટેની પણ અલાયદી સુવિધા કરવામાં આવી છે. આ બગીચામાં અલગથી ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. વિવિધ ફૂલ છોડ અને વૃક્ષોથી આચ્છાદિત આ બગીચામાં નાગરિકો માટે બાંકડા, ટોઇલેટ, જોગિંગ ટ્રેક, સલામતી માટે કમ્પાઉન્ડ વોલ અને સિક્યુરિટી ઓફિસ, સ્વચ્છતા જળવાય તે માટે પેવર બ્લોક સહિતની વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે.