વડોદરાઃ પંચમહાલ જિલ્લામાં ગોધરા-વડોદરા હાઇવે પર ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. જેમાં બાઇક સવાર પુરુષ અને ત્રણ બાળકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માતના પગલે સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ પહોચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બોર ગામે રહેતો પરિવાર બાઇક પર ગોધરા-વડોદરા હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. આ પરિવાર તૃપ્તિ હોટલ નજીક પહોંચ્યો ત્યારે પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી, જેમાં બાઇકચાલક સહિત બાઇક પર સવાર ત્રણ બાળકો હવામાં ફંગોળાયાં હતાં અને જમીન પર પટકાતાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા. આ અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિકજામ સર્જાયો હતો. ચાર લોકોનાં મોત થતાં હોસ્પિટલ બહાર પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માત સર્જનાર ટ્રકચાલક ભીડનો લાભ લઈ ફરાર થઈ ગયો. હાજર થયેલા લોકોએ અકસ્માતનો ભોગ બનેલા પરિવારને બચાવવા પ્રયાસ કર્યો હતો.
