કેન્સરના વિષય સાથે રમેશ પારેખની કવિતાઓનો સમન્વય એટલે કોશેટો નાટક

ગુજરાતી રંગભૂમિમાં જ્યારે નાટકોના વિષયને લઈ નવા પ્રયોગો થાય ત્યારે તેની વાત કરવી જરૂરી છે. આવો જ એક પ્રયોગ કર્યો છે દિગ્દર્શક પ્રિતેશ સોઢાએ. છેલ્લા કેટલાક સમયથી મુંબઈ અને ગુજરાતમાં જે નાટકના શૉ થઈ રહ્યાં છે એ’કોશેટો’ નાટક કેન્સર અને કવિતા વચ્ચેની મધુર પળોને જીવંત કરે છે.

પ્રિતેશ સૌઢા દ્વારા દિગ્દર્શિત અને મંથન જોશી દ્વારા લેખિત નાટક ‘કોશેટો’નું ફરી મુંબઈમાં પૃથ્વી થિયેટર ખાતે મંચન થવા જઈ રહ્યું છે. નાટકમાં કેન્સરની બિમારી સામે ઝઝૂમવાથી લઈ, કવિતાઓ અને જિંદગીની અંતિમ પળોને માણવાની વાત છે. ખાસ બાબત એ છે કે આ નાટકમાં રમેશ પારેખની અદ્ભુત કવિતાઓ થકી સાહિત્યને વિશેષ રૂપે રજૂ કરવામાં આવ્યું છે, જે પ્રેક્ષકોને આ નાટક સાથે જોડવામાં વધારે મદદરૂપ બને છે.

વ્યક્તિની માનસિક ધારણાઓને દર્શાવતા ‘કોશેટો’ નાટકમાં અભિનેતા દર્શન જરીવાલા મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે સેજલ પોંડા, હેમાક્ષ વૈષ્ણવ અને પૂજા ગામી પણ નાટકનો મહત્વનો ભાગ છે. નિર્દેશક પ્રિતેશ સોઢાએ આ નાટકમાં કેન્સર જેવા વિષય સાથે રમેશ પારેખની જાણીતી કવિતાઓને સામેલ કરી બખુબી સમન્વય દર્શાવ્યો છે. આ નાટકમાં કવિ રમેશ પારેખની 14 જેટલી કવિતાઓને જીવંત કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.

ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાત કરતાં પ્રિતેશ સોઢા જણાવે છે કે,’ કેન્સરનું વધવું અને સાહિત્યનું ઘટવું એ એક સામાજિક ટ્રેજેડી છે. જીવન શૈલીની અધોગતિ છે. એમાં કોશેટો જેવું નાટક બનાવવું એ વિચાર જ મને તો પ્રેરણાદાયી લાગે છે. અત્યાર સુધીમાં 21 શો કર્યા .છે અમે પૃથ્વી થિયેટર, NCPA, NMACC હોય કે પછી ગુજરાતના દરેક મોટા સ્ટેજ હોય, દરેક જગ્યાએ પ્રેક્ષકોએ નાટકને એ રીતે વધાવ્યું છે જાણે એ લોકો સાહિત્યને ઘટવા દેવા નથી માંગતા. આપણા પ્રેક્ષકો જીવંત અને સમકાલીન વાર્તાઓ ઈચ્છે છે એટલે આપણે કહેવી જ જોઈએ.’

કોશેટો નાટક વિશે વધુ વાત કરીએ તો આ નાટક એક ગુજરાતી ભાષાના સંશોધકની વાર્તા કહે છે જે એક ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે, જે પ્રખ્યાત રમેશ પારેખની કવિતા દ્વારા અર્થ અને ભાવનાત્મક આશ્રયને ફરીથી શોધે છે. આત્માને જગાડવાથી લઈ સંગીત સાથે આત્મનિરીક્ષણ બાદ વાત રજૂ કરવાની ક્ષણોની અલગ અનુભૂતિ કરાવે છે આ નાટક. અનેક સફળ પ્રયાસો બાદ હવે ફરી આગામી 22 અને 23 એપ્રિલના રોજ પૃથ્વી થિયેટર ખાતે આ નાટકનું મંચન થવાનું છે.