હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાની નૌસેના (IRGC) દ્વારા બે ભારતીય જહાજો ‘જગ અર્ણવ’ અને ‘સન્માર હેરાલ્ડ’ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જહાજોને નુકસાન પહોંચ્યું છે. આ હુમલો ઈરાન દ્વારા વસૂલવામાં આવતા કથિત ‘ટોલ ટેક્સ’ ને કારણે થયો હોવાનું મનાય છે, જે આપવાનો ભારતે ઈનકાર કર્યો છે. નવી દિલ્હીએ ઈરાની રાજદૂતને તલબ કરીને કડક સંદેશ આપ્યો છે કે ભારત પોતાની દરિયાઈ સુરક્ષા અને મુક્ત નૌકાયન સાથે કોઈ બાંધછોડ કરશે નહીં.

ભારતીય અધિકારીઓએ રવિવારે પુષ્ટિ કરી હતી કે ઈરાની નૌસેનાના ગોળીબારમાં બંને ભારતીય જહાજોના ચાલક દળના સભ્યો સુરક્ષિત છે, પરંતુ ગોળીબારને કારણે જહાજના કેબિનની બારીઓના કાચ તૂટી ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ‘જગ અર્ણવ’ સાઉદી અરેબિયાથી અને ‘સન્માર હેરાલ્ડ’ ઈરાકથી લાખો બેરલ ક્રૂડ ઓઈલ લઈને ભારત તરફ આવી રહ્યા હતા. ઓમાનની ઉત્તરે થયેલા આ હુમલા બાદ બંને જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પાછા ફરવાની ફરજ પડી હતી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ટોલ આપશે નહીં.
આ વિવાદનું એક પાસું અત્યંત રસપ્રદ છે. જે ઈરાની નૌસેના (IRGC) ભારતીય જહાજો પર હુમલો કરી રહી છે, તે જ ઈરાનનું એક યુદ્ધ જહાજ ‘IRIS લવાન’ અત્યારે ભારતની શરણમાં છે. ગત 4 માર્ચે શ્રીલંકા પાસે અમેરિકી સબમરીન દ્વારા ઈરાનનું બીજું યુદ્ધ જહાજ ‘IRIS ડેના’ ડુબાડી દેવાયા બાદ, લવાન જહાજે સુરક્ષા માટે કોચી બંદરે આશરો માંગ્યો હતો. આ જહાજના 183 સભ્યોમાંથી 120 ને ભારતે માનવતાના ધોરણે સ્વદેશ મોકલી આપ્યા છે, જ્યારે બાકીના કર્મચારીઓ હજુ પણ કેરળમાં જહાજની દેખરેખ રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈરાનનું ભારત પ્રત્યેનું આ વલણ રાજદ્વારી સ્તરે આઘાતજનક માનવામાં આવે છે.


