હિન્દુઓ વિરુદ્ધ નિવેદન મુદ્દે મમતા બેનરજી પર નોંધાઈ FIR

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ TMC નેતાઓ સામે કાર્યવાહી ચાલુ છે. હવે એ દરમિયાન રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને TMCપ્રમુખ મમતા બેનરજી (Mamata Banerjee) સામે સિલિગુડીમાં ફોજદારી ધમકી અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપ હેઠળ FIR નોંધવામાં આવી છે. આ મામલો આ વર્ષની શરૂઆતમાં ઉત્તર બંગાળમાં વિધાનસભા ચૂંટણીપ્રચાર દરમિયાન તેમના દ્વારા કરાયેલાં નિવેદનો સાથે જોડાયેલો છે.વકીલ રિન્કી ચેટરજી સિંહેએ કહ્યું હતું કે જ્યારે મમતા બેનર્જી મુખ્ય મંત્રી હતાં ત્યારે તેમણે હિજાબ પહેરીને રેડ રોડ પર ઈદની નમાજ અદા કરી હતી અને બાદમાં હિંદુ ધર્મને “ગંદો ધર્મ” ગણાવ્યો હતો. જ્યારે મેં સાયબર શાખામાં FIR નોંધાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ફરિયાદ સ્વીકારવામાં આવી નહોતી. મને શારીરિક અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડ્યો અને ઘણા દિવસો સુધી મારી ફરિયાદ નોંધવામાં આવી નહોતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે બાદમાં 2026ની વિધાનસભા ચૂંટણી પહેલાં ધર્મતલામાં હિંદુ મતદાતાઓને ધમકાવતાં નિવેદનો આપવામાં આવ્યાં હતાં. એક હિંદુ અને કાર્યકર તરીકે મેં વ્યક્તિગત રીતે પોતાને જોખમમાં અનુભવ્યો અને હુમલાનો મને ડર લાગ્યો હતો. મેં ઉશ્કેરણી, હિંસા ભડકાવવી અને ધર્મનું અપમાન કરવા સંબંધિત BNSની અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતમાં પોલીસે કાર્યવાહી કરવા ઈનકાર કર્યો હતો, પરંતુ બાદમાં મારી ફરિયાદ સ્વીકારી અને સંબંધિત કલમો લાગુ કરવામાં આવી હતી. મારું માનવું છે કે અભિવ્યક્તિ સ્વતંત્રતાની પણ મર્યાદાઓ હોય છે. સાયબર ક્રાઇમ યુનિટે સ્થાનિક વકીલ રિંકી ચેટર્જી સિંહ દ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધારે 15 મેએ FIR નોંધાવી હતી. આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે TMC સુપ્રીમોએ સનાતન ધર્મને “ગંદો ધર્મ” કહીને હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

કઈ કલમો હેઠળ કેસ નોંધાયો?

મમતા બેનર્જી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 351(1), 352 અને 353(2) હેઠળ FIR નોંધવામાં આવી છે.

  • કલમ 351(1) ફોજદારી ધમકી સંબંધિત ગુનાને લગતી છે.
  • કલમ 352 શાંતિ ભંગ કરવાનો ઈરાદો રાખીને જાણપૂર્વક અપમાન કરવા સંબંધિત છે.
  • કલમ 353(2) એવો કાયદાકીય જોગવાઈ છે, જે વિવિધ ધાર્મિક, જાતીય અથવા ભાષાકીય જૂથો વચ્ચે ઘૃણા, દુશ્મનાવટ અથવા દ્વેષ ફેલાવવાના હેતુથી અફવા, ખોટી માહિતી અથવા ભયજનક સમાચાર ફેલાવવા બદલ સજા નક્કી કરે છે.