2023માં આવશે ‘કશ્મીર ફાઈલ્સ 2’; અગ્નિહોત્રીનો સંકેત

મુંબઈઃ 1990ના દાયકામાં જમ્મુ અને કશ્મીરના ખીણપ્રદેશમાં કશ્મીરી હિન્દુ પંડિતો પર પાકિસ્તાનના સમર્થનવાળા આતંકવાદી તત્ત્વોએ કરેલા અત્યાચાર પર બનાવવામાં આવેલી અને દેશ-વિદેશના ભારતીયોમાં સુપરહિટ નિવડેલી હિન્દી ફિલ્મ ‘કશ્મીર ફાઈલ્સ’ની હવે દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી સીક્વલ બનાવી રહ્યા છે એવો તેમણે સંકેત આપ્યો છે.

અગ્નિહોત્રી ટ્વિટર પર ખૂબ સક્રિય રહે છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે. પરંતુ છેલ્લા થોડાક વખતથી ત્યાં કશ્મીરી પંડિતો અને હિન્દુઓ પર ફરી હુમલા કરવામાં આવી રહ્યા છે અને હત્યાની ઘટનાઓ બની રહી છે. એક ટ્વિટર યૂઝરે આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો અપલોડ કરીને અગ્નિહોત્રીને સવાલ કર્યો હતો કે શું તમે હાલમાં બનતી ઘટનાઓ વિશે પણ ફિલ્મ બનાવશો ખરા? તેના આશ્ચર્ય વચ્ચે અગ્નિહોત્રીએ એનો હિન્દીમાં જવાબ આપ્યો છે અને કહ્યું છે કે, ‘એની પર કામ ચાલી જ રહ્યું છે અને 2023ના મધ્યભાગ સુધીમાં ‘કશ્મીર ફાઈલ્સ’નો બીજો ભાગ જોવા મળી શકે છે.’