તનુશ્રી દત્તા અભિનયક્ષેત્રે કમબેક કરશે

મુંબઈઃ પોતાની જાતીય સતામણી સામે બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ લગભગ બે વર્ષ પહેલાં જે જંગ શરૂ કર્યો હતો એને કારણે ‘મી ટુ’ બિનસત્તાવાર ઝુંબેશનો આરંભ થયો હતો. જાતીય સતામણી અને અન્યાયને કારણે આ અભિનેત્રી મુંબઈ છોડીને અમેરિકા જતી રહી હતી. ત્યાં થોડાક વર્ષ રહ્યાં બાદ એ મુંબઈ પાછી ફરી હતી.

હવે તનુશ્રી અભિનયક્ષેત્રમાં પુનરાગમન કરવાની છે. એણે પોતે જ આ સમાચારાની જાણ એનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર કરી છે. એણે લખ્યું છે કે નજીકના ભવિષ્યમાં આકાર લે એવા કેટલાક મોટા ફિલ્મી પ્રોજેક્ટ વિશે તે હાલ ચર્ચા કરી રહી છે. આ ફિલ્મો દક્ષિણ ભારતીયની હશે. ફિલ્મોમાં કમબેક કરવા માટે તનુશ્રીએ અમેરિકાની સરકારમાં સંરક્ષણ વિભાગના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગમાં પ્રતિષ્ઠાસમી નોકરીની ઓફર પણ એણે ઠુકરાવી દીધી છે, કારણ કે પોતે એક કલાકાર હોવાથી અભિનય પ્રત્યેનો પ્રેમ એને ભારત પાછો લાવ્યો છે. કમબેક કરવા માટે પોતાને બોલીવૂડમાંથી પણ ઘણો ટેકો મળી રહ્યો છે એમ પણ તનુશ્રીએ જણાવ્યું છે.

ફિલ્મોમાં ફરી કામ કરવા માટે તનુશ્રીએ એનાં શરીરનું 15-કિલો વજન ઉતારી દીધું છે.