ડાર્ક કોમેડીના વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયા ભૂગર્ભમાં!

સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં આવ્યા બાદ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાની મુશ્કેલીઓ પૂર્ણ થવાનું નામ જ નથી લઈ રહી. સમયના શો પર માતા પિતા પર અભદ્ર કોમેન્ટ થતાની સાથે જ ઈન્ટરનેટ સહિત તમામ જગ્યા પર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ હોબાળો એટલો વધી ગયો કે જનતાની સાથે રાજકારણીઓ અને ધાર્મિક સંગઠનો પણ યુટ્યૂબરના વિરોધમાં બહાર આવ્યા. આ મામલો સંસદ સુધી ગુંજ્યો અને દેશના વિવિધ રાજ્યોમાં રણવીરના નામે FIR પણ દાખલ કરવામાં આવી. મહારાષ્ટ્રનો સંસ્કૃતિ વિભાગ પણ યુટ્યૂબરના વિવાદાસ્પદ નિવેદનની તપાસ કરશે.

આ તમામ વચ્ચે હવે મુંબઈ પોલીસના અધિકારીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કે રણવીર અલ્લાહબાદિયાએ હજુ સુધી પોતાનું નિવેદન નોંધાવ્યું નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રણવીરના મુંબઈના ઘરે તાળું મારેલું છે. યુટ્યૂબરનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. તેમના વકીલનો પણ સંપર્ક થઈ શક્યો નથી. શુક્રવારે, મુંબઈ પોલીસ (ખાર સ્ટેશન) અને આસામ પોલીસની ટીમો પણ રણવીરના વર્સોવા સ્થિત ફ્લેટ પર પહોંચી હતી, પરંતુ ત્યાં તાળું લાગેલુ હતું. રણવીરને આજે મુંબઈ પોલીસ (ખાર પોલીસ સ્ટેશન) સમક્ષ હાજર થવાનું છે. કારણ કે તે શુક્રવારે હાજર થયો ન હતો. પોલીસે તેમને 14 ફેબ્રુઆરીએ હાજર થવા માટે બીજું સમન્સ જારી કર્યું હતું. રણવીર વિરુદ્ધ આસામમાં પણ કેસ નોંધાયેલો છે, તેથી આસામ પોલીસ પણ તેની પૂછપરછ કરવા માગે છે. આ ઉપરાંત, રણવીર અલ્લાહબાદિયાએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આમાં, ભારતભરમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી તમામ FIR ને એકસાથે જોડવાની માગ કરવામાં આવી હતી.

રણવીર ઉપરાંત, આસામના ગુવાહાટીમાં નોંધાયેલી FIRમાં સમય રૈના, આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ અને અપૂર્વા માખીજાના નામ પણ છે. મુંબઈ પોલીસ અને સાયબર સેલ આ મામલાની અલગ-અલગ તપાસ કરી રહ્યા છે. આસામ પોલીસ મુંબઈ સાયબર ટીમને પણ મળી. રૈનાને આગામી પાંચ દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. દરમિયાન, મુંબઈ પોલીસે (ખાર પોલીસ સ્ટેશન) ભાજપ નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર અત્યાર સુધીમાં અપૂર્વા માખીજા, આશિષ ચંચલાની અને રણવીર અલ્હાબાદિયાના મેનેજર સહિત 8 લોકોના નિવેદનો નોંધ્યા છે. શુક્રવારે પોલીસે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોના વીડિયો એડિટર પ્રથમ સાગરનું પણ નિવેદન નોંધ્યું હતું. મહારાષ્ટ્ર સાયબરે આ સંદર્ભમાં નોંધાયેલા કેસમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 50 લોકોને તેમનાં નિવેદનો નોંધવા માટે સમન્સ પાઠવ્યા છે. આમાં શોમાં ભાગ લેનારા લોકોનો પણ સમાવેશ થાય છે. ગુરુવારે, એક્ટર રઘુ રામે તપાસ ટીમ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું. તે રૈનાના શોના જજ પેનલમાં હતો.