કર્ણાટકના ગૃહ મંત્રી પરમેશ્વરની સંસ્થાઓ પર EDના દરોડા

નવી દિલ્હીઃ કર્ણાટકના ગૃહ મંત્રી જી. પરમેશ્વર EDના રડાર પર છે. કેન્દ્ર સરકારની એજન્સીએ તેમના ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા છે. એક દિવસ પહેલાં જ ગૃહ મંત્રી સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ પર EDની ટીમ પહોંચી હતી. અભિનેત્રી રાન્યા રાવના સોનાની તસ્કરી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ED રેડ કરી રહી છે. EDએ જી. પરમેશ્વર સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ સહિત કર્ણાટકનાં અનેક સ્થળોએ દરોડા પાડી છે. તેમણે જણાવ્યું કે પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ (PMLA)  હેઠળ રાજ્યનાં 16 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે દરોડામાં હવાલા ઓપરેટરો અને અન્ય ઓપરેટરોને લક્ષ્ય બનાવીને પાડવામાં આવ્યા છે, જેમણે રાવનાં ખાતાંઓમાં કથિત રીતે ખોટી નાણાકીય લેવડદેવડ કરી હતી. તપાસ એજન્સીએ થોડા મહિના પહેલા રાવના કેસ સહિત ભારતના મોટા સોનાની તસ્કરી રેકેટના સંદર્ભમાં CBI અને આવક ગુપ્તચર નિર્દેશાલય (DRI)ની ફરિયાદ પર ધ્યાનમાં રાખીને PMLAનો કેસ નોંધ્યો હતો.

EDનાં સૂત્રોએ કહ્યું કે એક શૈક્ષણિક ટ્રસ્ટ પર શંકા છે કે તેણે કથિત રીતે એક પ્રભાવી વ્યક્તિના આદેશ પર રાવના ક્રેડિટ કાર્ડ બિલ માટે રૂ. 40 લાખ ચૂકવ્યા છે. સૂત્રોએ દાવો કર્યો છે કે ટ્રસ્ટ જી પરમેશ્વર સાથે સંકળાયેલું છે અને તે પ્રભાવી રાજકીય વ્યક્તિત્વ છે. તેમણે કહ્યું હતું કે દરોડા દરમિયાન જાણવા મળ્યું છે કે આ ચુકવણીને માન્ય કરાવા માટે કોઈ દસ્તાવેજ મળ્યો નથી.

કોંગ્રેસે કર્ણાટકના ગૃહ મંત્રી જી પરમેશ્વર સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ પર ઈડીના દરોડાની નિંદા કરતાં આરોપ મૂક્યો છે કે તપાસ એજન્સીની કાર્યવાહી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઈશારે થઈ રહી છે અને એ બદલાનું રાજકારણ દર્શાવે છે.

કોંગ્રેસના મિડિયા ઇન્ચાર્જ જનરલ સચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે ભાજપ છેલ્લાં બે વર્ષમાં કર્ણાટક સરકારની સિદ્ધિઓથી સ્પષ્ટ રીતે ગભરાઈ ગઈ છે. X  પર એક પોસ્ટમાં રમેશે જણાવ્યું હતું કે કોંગ્રેસ કર્ણાટકના ગૃહ મંત્રી પર EDના દરોડાની કડક શબ્દોમાં નિંદા કરે છે. ડો. જી પરમેશ્વર દેશના સૌથી વરિષ્ઠ રાજકીય નેતાઓમાંના એક છે, જેમણે શિક્ષણ ક્ષેત્રમાં ખાસ કરીને સમાજના નબળા વર્ગ માટે મોટા પ્રમાણમાં યોગદાન આપ્યું છે.