દેશી રાખડીઓની માગ વધીઃ રક્ષાબંધને થશે રૂ. 30,000 કરોડના વેપાર

નવી દિલ્હીઃ રાજધાનીનાં બજારોમાં આ વર્ષે વેચાઈ રહેલી રાખડીઓમાં ભાઈ-બહેનના પ્રેમના પરંપરાગત સંદેશ ઉપરાંત ઘણું બધું જોવા મળી રહ્યું છે. તેમાં સ્વદેશી ગૌરવ અને સરકારી પહેલો—જેમ કે વિકસિત ભારત, બ્રહ્મોસ અને મહિલા સશક્તીકરણ—ની ઝલક જોવા મળે છે. વેપારીઓનું અનુમાન છે કે દેશમાં રાખડીનો વેપાર લગભગ રૂ. 25,000 કરોડ સુધી પહોંચી શકે છે.

Confederation of All India Traders (CAIT)ના અંદાજ મુજબ, મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ, ભેટવસ્તુઓ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય સામાન સહિત રક્ષાબંધનના તહેવાર દરમિયાન કુલ વેપાર રૂ. 30,000 કરોડનો આંકડો પાર કરી શકે છે. એકલા દિલ્હીમાં આ વેપારનો હિસ્સો લગભગ રૂ. 4000 કરોડ રહેવાની આશા છે.

આ બજારોમાં ઊમટી ભીડ

રક્ષાબંધન 28 ઓગસ્ટે છે. તહેવાર પહેલાં દિલ્હીના ચાંદની ચોક, સદર બજાર, કરોલ બાગ, લાજપત નગર, કમલા નગર, રાજૌરી ગાર્ડન, ગાંધી નગર, ખારી બાવલી અને લક્ષ્મી નગર જેવાં બજારોમાં ખરીદદારોની ભારે ભીડ જોવા મળી રહી છે.

દેશી રાખડીઓ બની પ્રથમ પસંદગી

ભાજપ સાંસદ અને CAITના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે અગાઉ મોટા ભાગની રાખડીઓ ચીનથી આવતી હતી. વર્ષ 2020 પછી સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનો બનાવવાની ભાવના મજબૂત બની છે. તેમણે ગ્રાહકોની વિચારસરણીમાં આવેલા આ બદલાવને વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદની પરિસ્થિતિ સાથે જોડ્યો હતો.

ખંડેલવાલે વધુમાં જણાવ્યું કે યુવા ગ્રાહકોમાં મુદ્દા આધારિત રાખડીઓની ખાસ માગ જોવા મળી રહી છે, જ્યારે ‘નારી વંદન’ અને ‘લખપતિ દીદી’ રાખડીઓ મહિલા ખરીદદારોને આકર્ષી રહી છે. જોકે બજાર માત્ર સ્પષ્ટ રાજકીય ડિઝાઇન સુધી મર્યાદિત નથી. કારીગરો પ્રાદેશિક પરંપરાઓનો પણ ઉપયોગ કરી રહ્યા છે. નાગપુરની ખાદી રાખડીઓ, જયપુરની સાંગાનેરી આર્ટવાળી રાખડીઓ, પુણેની બીજવાળી રાખડીઓ, આસામની ચા-પત્તીવાળી રાખડીઓ, કોલકાતાની જૂટવાળી રાખડીઓ તેમ જ બિહારની વાંસ અને મધુબની આર્ટવાળી રાખડીઓ પણ વેચાઈ રહી છે. ખંડેલવાલે કહ્યું હતું કે સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે લોકોનો વધતો રસ મહિલા ઉદ્યોગસાહસિકો, સ્વસહાય જૂથો અને કારીગરોને મોસમી અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તક આપી રહ્યો છે.