રાજ્યના નાગરિકોને બાકી વેરા ભરવામાં મળશે રાહત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા માટે રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના “જાહેર કરેલી છે.

ઓનલાઇન એડવાન્સ ટેક્ષ ભરનારા નાગરિકોને કુલ મળીને 15 ટકા રિબેટ વર્ષ 2023-24ના ભરવાપાત્ર વેરાની રકમ તા.30 જૂન-2023 સુધીમાં એડવાન્સ ચુકવવા ઉપર મળશે. મુખ્યમંત્રીના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના નગરજનોને ટેક્ષ ભરપાઇ કરવાનું તેમજ આગામી વર્ષનો એડવાન્સ ટેક્ષ ભરવાનું પ્રોત્સાહન અને પ્રેરણા મળતા થશે. એટલું જ નહિ, ઓનલાઇન ટેક્ષ ટ્રાન્ઝેકશન્સને પણ પ્રેરક બળ મળશે.

આ સંદર્ભમાં આ વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના જનહિતકારી નિર્ણયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા છે.

1) જે કરદાતાઓ તેમની મિલકત ઉપરના તા.31મી માર્ચ-2022 સુધીના કે તે પહેલાના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.31 માર્ચ-2023 સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ પેન્લટી અને વોરંટ ફી ની રકમ ૧૦૦ ટકા માફ કરી દેવાશે.
2) આગામી નાણાંકીય વર્ષ 2023-24 ની વેરાની રકમ તા.30 જૂન-2023 સુધીમાં એડવાન્સ ભરી દે તેવા કરદાતાઓને આ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત 10 ટકા રિબેટ અપાશે.
3) વેરાની એડવાન્સ રકમ તા.30 જૂન-2023 સુધીમાં મોબાઇલ એપ્લીકેશન કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલ દ્વારા ભરપાઇ કરે તેવા કરદાતાઓને વધારાનું 5 ટકા વળતર આપવામાં આવશે.