ગુજરાત ચુંટણી : કોંગ્રેસે હાર બાદ શરૂ કર્યું મનોમંથન

વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ દ્વારા મનોમંથન કરવામાં આવી રહ્યું છે. જેમાં હવે કોંગ્રેસ નેતાઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ મોટા માથાઓને પણ ઘરભેગા કરી કડક સંદેશ આપવાની કોશિશ કરી રહ્યું છે.

છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા હતા. જેના પર કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને છોડવાના મૂડમાં નથી. આજે કોંગ્રેસની શિસ્ત સમિતીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં બાલુભાઈ પટેલે કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ડિસેમ્બર 2022 માં કોંગ્રેસની શિસ્ત સમિતીની પુનઃરચના કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી છે જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થયો છે. જેમાં બે મિટીંગોમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને પણ કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે.

આ ઉપરાંત કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે,જે રજુઆતમાં ચકાસણીની જરૂરિયાત છે તેવા 18 અરજદાર તેમજ તેમની સામે રજૂઆત છે તેમને રૂબરૂ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાંચ અરજીઓ એવી છે જેમાં જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને સંકલિત કરીને નિર્ણય કરશે. સામાન્ય કેસોમાં 8 વ્યક્તિઓને પત્ર દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. 11 અરજીમાં કઈ તથ્ય ન જણાતા રદ કરવામાં આવી છે. અને 4 કેસમાં વધુ અભ્યાસ કરવાનો હોવાથી આગામી મીટીંગ માટે પેન્ડીંગ રાખવામાં આવી છે.