નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વર્ષ 2027ની વસતિ ગણતરી માટે સૂચના જાહેર કરી છે. હવે એ સાથે જ વસતિ ગણતરીની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. આ 2011 પછી દેશની પહેલી વસતિ ગણતરી ડિજિટલ રહેશે. વસતિ ગણતરીનું કામ બે તબક્કામાં પૂર્ણ કરાશે. પહેલો તબક્કો લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે 1 ઓક્ટોબર, 2026થી શરૂ થશે. જ્યારે દેશના બાકીના ભાગો માટે બીજો તબક્કો 1 માર્ચ, 2027થી શરૂ થશે.
વસતિ ગણતરી શા માટે જરૂરી છે?
વસતિ ગણતરી કરવી ખૂબ જ આવશ્યક છે. વસતિ ગણતરીને આધારે ચૂંટણી માટેના મતવિસ્તાર નિર્ધારિત કરવામાં આવે છે અને SC તથા ST વર્ગ માટે બેઠકો રિઝર્વ કરવામાં આવે છે. શિક્ષણથી લઈ ગ્રામ વિકાસ મંત્રાલય સુધીના વિભાગો શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પાયાના માળખાંની યોજનાઓ માટે જનગણતરીના આંકડાઓનો ઉપયોગ કરે છે. ભારતના બંધારણની કલમ 82 કહે છે કે તાજેતરની વસતિ ગણતરીને આધારે મતવિસ્તારનું પુનઃ વિતરણ જરૂરી છે. કલમ 330 અને 332 અનુસાર SC અને ST માટે તેમની વસતિ અનુસાર વિધાનસભામાં બેઠકો રિઝર્વ કરાય છે.
વસતિ ગણતરી કેવી રીતે થાય છે?
આ પ્રક્રિયા પણ બે તબક્કામાં પૂર્ણ થાય છે. પ્રથમ તબક્કામાં ઘરોની યાદી બનાવવી અને ઘરોની ગણતરી કરવી થાય છે, જ્યારે બીજા તબક્કામાં વસતિ ગણતરી થાય છે. આ બંને તબક્કાઓ વચ્ચે ઘણા મહિનાઓનું અંતર હોય છે. આ વસતિ ગણતરી માટે આશરે 30 લાખ ગણતરીકારોની જરૂર પડશે, જેમાં મોટા ભાગે શાળાના શિક્ષકોની નિમણૂક થવાની શક્યતા છે. જિલ્લામાં અને ઉપજિલ્લા સ્તરે લગભગ 1,20,000 કર્મચારીઓ રહેશે, જે વસતિ ગણતરીના કાર્યનું સંચાલન, દેખરેખ અને સહયોગ આપે છે.
Union Minister @AmitShah reviewed the preparation for the forthcoming Census with the Union Home Secretary, RG&CCI, and other senior officials in New Delhi
The Census will be conducted in two phases. In phase one i.e. Houselisting Operation (HLO), the housing conditions, assets,… pic.twitter.com/8lO8vu2aam
— PIB India (@PIB_India) June 16, 2025
હાઉસ લિસ્ટિંગ તબક્કા દરમ્યાન દેશની દરેક ઈમારત અને ઘરની મુલાકાત લેવામાં આવે છે, જેથી ઘરો અને ઈમારતોનાં લક્ષણો નોંધાઈ શકે. ગણતરીકાર ઘરનાં વડા, ઘરમાં રહેનાર સભ્યોની સંખ્યા, ઈમારત બનાવવામાં આવેલી સામગ્રી, રૂમોની સંખ્યા, પાણી અને વીજળીના સ્ત્રોતો, રસોઈ માટે ઉપયોગમાં લેવાતું ઇંધણ, તેમ જ ટીવી, ફોન, વાહન જેવી મિલ્કત અંગે માહિતી એકત્રિત કરે છે.
