Census 2027: જાતિ ગણતરી મુદ્દે કોંગ્રેસ વિરુદ્ધ સરકાર!

નવી દિલ્હીઃ કોંગ્રેસે જનગણતરીમાં જાતિઓની ચોક્કસ ગણતરીને લઈને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને હાલની જનગણતરી પ્રશ્નાવલી રદ કરવાની માગ કરી છે. બંને નેતાઓએ જાતિઓની ઓળખ માટે ‘ઓપન-એન્ડેડ’ પદ્ધતિને બદલે અગાઉથી તૈયાર કરવામાં આવેલી યાદી એટલે કે ‘ડ્રોપ-ડાઉન’ વિકલ્પ અપનાવવાનું સૂચન કર્યું છે. તેમનું કહેવું છે કે જો એક જ જાતિ અલગ-અલગ નામોથી નોંધાશે, તો જાતિઓની વાસ્તવિક સંખ્યા નક્કી કરવી મુશ્કેલ બનશે અને જાતિ ગણતરીનો હેતુ જ પ્રભાવિત થશે.

ખડગે-રાહુલના પત્રમાં શું કહેવામાં આવ્યું?

રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પત્રમાં જણાવ્યું હતું કે ભારતમાં સામાજિક ન્યાયની નીતિઓ યોગ્ય આંકડાઓ વિના સંપૂર્ણ બની શકે નહીં. અલગ-અલગ જાતિઓની સંખ્યા તથા તેમની સામાજિક-આર્થિક સ્થિતિનું ચોક્કસ આકલન ત્યારે જ શક્ય છે, જ્યારે જાતિઓની યોગ્ય રીતે ગણતરી કરવામાં આવે.

કોંગ્રેસના બંને નેતાઓએ જનગણતરીમાં જાતિની માહિતી નોંધવા માટે અપનાવવામાં આવેલી ‘ઓપન-એન્ડેડ’ પદ્ધતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ પદ્ધતિમાં દરેક વ્યક્તિ પોતાની જાતિનું જે નામ જણાવે, તે જ નોંધવામાં આવશે. ભારતમાં એક જ જાતિ અલગ-અલગ વિસ્તારોમાં અલગ નામો, પેટા જાતિઓ અને ભાષાઓથી ઓળખાય છે. એ પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો એક જ જાતિના લોકો જનગણતરીમાં અલગ-અલગ નામોથી નોંધાશે, તો એક જાતિ હજારો નામોમાં વહેંચાઈ જશે. પરિણામે દેશમાં લાખો જાતિઓનાં નામ સામે આવી શકે છે અને જાતિ ગણતરીમાંથી મળતો સમગ્ર ડેટા જ ઉપયોગી નહીં રહે.

20 ઓગસ્ટે લખ્યો હતો પત્ર

ખડગે અને રાહુલ ગાંધીએ 20 ઓગસ્ટે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ સમુદાયની ચોક્કસ સંખ્યા નોંધવામાં નહીં આવે, ત્યારે તેની સ્થિતિનું આકલન પણ ખોટું થશે. આથી પછાત, અતિ પછાત અને અન્ય વંચિત સમુદાયોને નુકસાન થઈ શકે છે. ઉપરાંત શિક્ષણ, રોજગાર, સરકારી યોજનાઓ અને સામાજિક ન્યાય સંબંધિત નિર્ણયો પણ પ્રભાવિત થઈ શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ પદ્ધતિથી ભારતમાં અન્ય પછાત વર્ગ એટલે કે OBCની વસ્તી કેટલી છે તે પણ જાણી શકાશે નહીં, કારણ કે જનગણતરીમાં ‘પછાત વર્ગ’ શબ્દનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી.