સ્વચ્છતા પખવાડિયું : જાગૃતિ માટે માનવ સાંકળ

અમદાવાદ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી છે. વડાપ્રધાન બનતાની સાથે જ તેમણે સ્વચ્છ ભારત માટે જુદી-જુદી સંસ્થાઓ, સેલિબ્રિટીઓને સાથે લઈ જબરજસ્ત ઝુંબેશ શરૂ કરી, જેના સારા પરિણામ પણ જોવા મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસથી મહાત્મા ગાંધીજીની જયંતી 2જી ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયું ચાલી રહ્યું છે. સ્વચ્છતા માટેના આ પખવાડિયા માટે અમદાવાદ શહેર કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા એક માનવ સાંકળ તૈયાર કરવામાં આવી હતી.સ્વચ્છતા ઝુંબેશની આ માનવ સાંકળના આયોજક સેનેટરી ઇન્સ્પેક્ટર વિજયભાઈ મકવાણા ચિત્રલેખા.કોમને કહે છે, “આપણો વિસ્તાર, શહેર, રાજ્ય તેમજ દેશ સ્વચ્છ અને સુંદર રહે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.જી.આઈ. કેન્ટોનમેન્ટ સ્કૂલ, ફિરદોશ અમૃત સ્કૂલના વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને નાગરિકોએ સ્વચ્છતા માટેની માનવ સાંકળમાં ભાગ લીધો હતો.”

આ માનવ સાંકળનું કેન્ટોનમેન્ટથી એરપોર્ટ સર્કલ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર રવિન્દ્ર ખટલે ( આઈ.એ.એસ. ), સુદામ મંચલવાર ( ડિફેન્સ એસ્ટેટ ઓફિસર), વિદ્યાર્થીઓ અને નાગરિકોએ સ્વચ્છતા માટે સંદેશ આપ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)