સેન્સેક્સમાં 428 અંકનો ઉછાળોઃ કયા પરિબળો કારણભૂત?

મુંબઈ: બેંકિંગ તેમજ ઓટોમોબાઈલ કંપનીઓના શેરોના શાનદાર પ્રદર્શનને પગલે સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટ ભારે ઉછાળા સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ 428 પોઈન્ટ્સના ઉછાળા સાથે બંધ આવ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં 41,055.80 અને નીચામાં 40,736.70 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 428.00 પોઈન્ટ્સ અથવા 1.05 ટકા વધીને 41,009.71 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જ પર નિફ્ટી પણ ઉપરમાં 12,098.85 અને નીચામાં 12,023.60 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 114.90 પોઈન્ટ્સ અથવા 0.96 ટકાના ઉછાળા સાથે 12,086.70 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

બીએસઈ પર 24 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં બંધ થયા તો 6 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા, જ્યારે એનએસઈ પર 38 કંપનીઓના શેરોમાં લેવાલી તેમજ 12 કંપનીઓના શેરોમાં વેચાણ જોવા મળ્યું. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.92 ટકા અને 0.82 ટકા વધીને બંધ રહ્યા હતા. શુક્રવારે મેટલ, રિયલ્ટી, ઓટો, IT, ટેકનો અને કન્ઝ્યુમર શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે ટેલિકોમ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, યુએસ ટ્રેડવોરના ઉકેલની આશા અને યુકેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના વિજયની શક્યતાને પગલે વૈશ્વિક રાહે શુક્રવારે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. તો બીજી તરફ યુકે ચૂંટણીમાં બોરિસ જોનસને બહુમતનો આંકડો પાર કરી લીધો છે. તેમણે વચન આપ્યું હતુ કે, જો તેમની સરકાર બનશે તો યુકેને યુરોપિયન યુનિયનથી અલગ કરી દેશે. વૈશ્વિક ઘટનાઓની એશિયાના અન્ય બજારો પર પણ સકારાત્મક અસર જોવા મળી. હોંગકોંગ, જાપાન અને ચીનના શેર ઈન્ડેક્સમાં તેજીનો દોર રહ્યો.