RBIની ધિરાણ નીતિના એલાન પછી સેન્સેક્સ, નિફ્ટીમાં કડાકો

અમદાવાદઃ RBIની ધિરાણ નીતિના એલાન પછી અને નિફ્ટી વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં નફારૂપી વેચવાલનું દબાણ જોવા મળ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ નફારૂપી વેચવાલી થઈ હતી. સેક્ટોરિયલ આધારે FMCG, બેન્કિંગ, રિયલ્ટી અને ફાર્મા અને ઓટો શેરોમાં વેચવાલી થઈ હતી. જોકે PSU બેન્ક અને PSE શેરોમાં લેવાલી થઈ હતી. એનર્જી અને IT ઇન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા હતા.  આજની વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.04 લાખ કરોડનું ધોવાણ થયું હતું.વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારે વેચવાલી કરી હતી. તેઓ નેટ સેલર્સ રહ્યા હતા. ગઈ કાલે વિદેશી રોકાણકારોએ રૂ. 1619.02 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. FIIએ આ મહિને અત્યાર સુધી 2888.51 કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી.

બજારમાં ફાઇનાન્સિયલ શએરોમાં વેચવાલી દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી બેન્ક આશરે બે ટકા તૂટ્યો હતો. નિફ્ટીના ઘટાડામાં પણ ટોચના પાંચ શેરોમાં ચાર ખાનગી બેન્કો હતી. જેથી સેન્સેક્સ 724 પોઇન્ટ તૂટીને 71,428ના સ્તર બંધ થયો હતો. નિફ્ટી પણ 213 પોઇન્ટ તૂટીને 21,718ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 24 પોઇન્ટ તૂટ્યો હતો. નિફ્ટી બેન્ક 807 પોઇન્ટ તૂટ્યો હતો.

BSE પર આજે 3945 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1636 શેરોમાં તેજી થઈ હતી, જ્યારે 2204 શેરોમાં ઘટાડો થયો હતો, જ્યારે 105 શેરો સપાટ બંધ રહ્યા હતા. બજારમાં 524 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી અને 24 શેરો નીચલી સપાટીએ પહોંચ્યા હતા.