ભારતમાં ડેટા સ્ટોર નહીં કરનારી કંપનીઓ પર RBI કડક કાર્યવાહી કરે તેવી શક્યતા

બેંગલુરુ: ભારતમાં ડેટા સ્ટોર કરવાના નિર્દેશનું પાલન નહીં કરનારી એન્ટિટી સામે RBI દંડાત્મક પગલાં લે તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર RBI ડેટા લોકલાઇઝેશન અંગેના નિયમ હળવા નહીં કરે. ઉપરાંત, અમુક કંપનીઓ RBIના નિર્દેશનું નિર્ધારિત સમયમાં પાલન નહીં કરે તો ગ્રાહકોના હિતને નુકસાન નહીં થાય.

સુત્રોના જણાવ્યાં અનુસાર, RBIના નિર્દેશ મુજબ તમામ પેમેન્ટ કંપનીઓએ 15 ઓક્ટોબરે કોમ્પ્લાયન્સ રિપોર્ટ સુપરત કરવો પડશે. તેમના અહેવાલના આધારે કેવી કાર્યવાહી કરવી તેનો નિર્ણય RBI કરશે.

જોકે, મુદત લંબાવાય તેવી શક્યતા નહીંવત્ છે. સર્વિસ પ્રોવાઇડરે નિયમોનું પાલન નહીં કર્યું હોય તો પણ ગ્રાહકોને અસર નહીં થાય અને કાર્ડ ટ્રાન્ઝેક્શન નહીં અટકે. વિઝા અને માસ્ટરકાર્ડ જેવા અમુક મોટા પેમેન્ટ નેટવર્ક્સે દેશમાં ડેટા સ્ટોર કરવાના નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું નથી. અને હવે મુદત પૂરી થવા આડે માત્ર સપ્તાહનો સમય બાકી છે.

80 ટકાથી વધુ પેમેન્ટ એન્ટિટીએ માર્ગરેખાનું પાલન કર્યું છે. મળતી માહિતી મુજબ ફોનપે અને Paytm જેવી સ્થાનિક પેમેન્ટ કંપનીઓ, વોટ્સએપ, એમેઝોન, અલિબાબા જેવા વૈશ્વિક ખેલાડીઓએ પણ ડેટા લોકલાઇઝેશન અંગેની માર્ગરેખાનું પાલન કર્યું છે. વિઝા અને માસ્ટરકાર્ડે પણ ભારતમાં ડેટા સ્ટોર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

RBIના જણાવ્યા અનુસાર છેલ્લા વિકલ્પ તરીકે કંપનીઓ ભારતમાં ક્લાઉડ સર્વિસિસની સેવા લઈ તેમનો ડેટા સ્થાનિક સ્તરે હોસ્ટ કરી શકે. તેના માટે ટેક્‌નોલોજી ઉપલબ્ધ છે. કંપનીઓ માટે નિયમોનું પાલન કરવા છ મહિનાનો સમય પૂરતો હતો. મુદત લંબાય તેવી શક્યતા બહુ ઓછી છે. ડિજિટલ પેમેન્ટમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતમાં જનરેટ થતો ડેટા સ્થાનિક સ્તરે જ સ્ટોર કરવાનું મહત્ત્વ ઘણું વધી જાય છે.

ઉલ્લેખનીય છે કે,  RBIના પગલાથી ડેટા સ્ટોર કરવા ઘણા એનાલિસ્ટ્સ અને ડેટા સ્પેશિયાલિસ્ટ્સની જરૂર ઊભી થશે, જે નવા રોજગારી સર્જનમાં મદદ કરશે.