ભારતની બેંકિંગ સિસ્ટમ અસુરક્ષિત છે: મૂડીઝ

નવી દિલ્હી: ભારતીય બેંકિંગ સિસ્ટમને લઈને જાણીતી રેટિંગ એજન્સી મૂડીઝે મોટી ચેતવણી આપતા આને વિશ્વની સૌથી અસુરક્ષિત વ્યવસ્થાઓમાં ગણાવી છે. એશિયા-પેસિફિકની 13 અર્થવ્યવસ્થાઓમાં મૂડીઝે ભારતની બેંકિંગ પ્રણાલીને ઈન્ડોનેશિયાની સાથે સાથે સૌથી અસુરક્ષિત અને સંવેદનશીલ ગણાવી છે. ત્યારબાદ સિંગાપુર,મલેશિયા અને ચીનને અસુરક્ષિત અર્થવ્યવસ્થાની શ્રેણીમાં રાખ્યા છે. આ જાણકારી મૂડીઝે સોમવારે નિફ્ટી સૂચઆંક 2.59 ટકાના ઘટાડા સાથે બંધ થવા પણ આપી.

રેટિંગ એજન્સીએ લખ્યુ કે, મંદ આર્થિક વિકાસ અને વધતા વ્યાપાર તેમજ જિયોપોલિટિકલ તણાવને પગલે કોર્પોરેટ્સની ઋણ સેવા ક્ષમતાઓમાં ઘટાડો આવી શકે છે. એજન્સીએ કહ્યું કે, ભારતીય બેંક સૌથી નબળી છે, કારણ કે, તેમની પાસે મૂડી ગુણોત્તર (કેપિટલ રેશિયો) ઓછો છે અને તણાવની સ્થિતિમાં તેમની મૂડી ખત્મ કરી નાખવામાં આવશે.

સોમવારે યસ બેંકનો સ્ટોક 15 ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 3.7 ટકા, આઈસીઆઈઆઈ બેંક 3.5 ટકા, એક્સીસ બેંક 2.3 ટકા અને એચડીએફસી બેંકનો શેર 1.4 ટકા ઘટ્યો હતો. સરકારે હાલમાં જ સંસદને જણાવ્યું કે, રાજ્ય સંચાલિત બેંકોનો ગ્રાસ એનપીએ માર્ચ 2019માં 8,95,601 કરોડ રૂપિયાથી ધટીને 8,06,412 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તો બીજી તરફ ભારત અને ઈન્ડોનેશિયામાં જીડીપી માટે કોર્પોરેટ ઋણનો ગુણોત્તર અપેક્ષાકૃત ઓછો છે. મૂડીઝનું માનવુ છે કે, મોટા ડિફોલ્ટરોને પગલે બેંકિંગ વ્યવસ્થાની હાલત 2011 પછી ઘણી ખરાબ થઈ ગઈ છે.