એરલાઈન કંપનીઓના વિરોધ બાદ મોદી સરકારે ફગાવી ચીનની માંગ

નવી દિલ્હીઃ ભારતે ચીની સરકાર દ્વારા પોતાના વિમાનોને વધારે ઉડાનો ભરવા દેવાની માંગણીને ફગાવી દીધી છે. મહત્વનું છે કે તાજેતરમાં જ ચીને ભારતને કહ્યું હતું કે તેમની એરલાઈન્સ કંપનીઓને બંન્ને દેશો વચ્ચે વધારે ફ્લાઈટના સંચાલનની મંજૂરી આપવામાં આવે. પરંતુ ભારતીય એરલાઈન્સ કંપનીઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો જેના બાદ સરકારે ચીનની માંગણી ફગાવી દીધી છે.

ઈંડિગો, જેટ એરવેઝ, સ્પાઈસજેટ, ગોએર સહતિ એર ઈંડિયાએ પણ ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ સાથે યોજાયેલી મીટિંગમાં ચીનના પ્લાનનો વિરોધ કર્યો હતો. આ મીટિંગ જૂનમાં થયેલા  વડાપ્રધાન મોદીના ચીન પ્રવાસ બાદ યોજાઈ હતી. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી પાસે ચીની સરકારે માંગણી કરી હતી તે અમારી એરલાઈન કંપનીઓનો પોતાની વધુ ફ્લાઈટ મેનેજ કરવા દેવામાં આવે.

વર્તમાન સમયમાં બંન્ને દેશોને એક સપ્તાહમાં 42-42 ફ્લાઈટની મંજુરી છે. ચીની કંપનીઓ પોતાના કોટાનો 93 ટકા ભાગ ઉપયોગ કરી રહી છે. તો ભારતીય કંપનીઓ 12 ટકા ભાગ ઉપયોગ કરી રહી છે. જો કે સ્પાઈસજેટ, ઈંડિગો અને વિસ્તારા જેવી કંપનીઓએ ઈન્ટરનેશન ફ્લાઈટ માટેની વ્યવસ્થા શરૂ કરી દીધી છે.