બજેટ 2026ને લઈને દેશના નાણાકીય બજારમાં ભારે ઉત્સુકતા છે અને તેનો સૌથી સીધો અસર સોનાં-ચાંદીના ભાવ પર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત તેજી બાદ 30 જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં થોડી શાંતિ જોવા મળી. MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ લગભગ 1,49,075 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ 2,91,922 રૂપિયાના સ્તરે છે. નોંધનીય છે કે ચાંદી થોડા દિવસો પહેલા જ ચાર લાખ રૂપિયા પ્રતિ કિલોના ઐતિહાસિક સ્તરને સ્પર્શી ચૂકી હતી. આવા સંજોગોમાં બજેટ બાદ ભાવ ઘટશે કે ફરી ઉછાળ લેશે, તે પ્રશ્ન રોકાણકારો અને સામાન્ય ખરીદદારો બંને માટે મહત્વનો બની ગયો છે.

બજાર નિષ્ણાતોના મતે, બજેટના તરત પછી સોના અને ચાંદીના ભાવમાં હળવીથી મધ્યમ ઘટાડો શક્ય છે. તેનું સૌથી મોટું કારણ ઇમ્પોર્ટ ડ્યુટી અંગેની અપેક્ષા છે. દાગીનાં ઉદ્યોગ લાંબા સમયથી સરકાર પાસે માંગ કરી રહ્યો છે કે સોના અને ચાંદી પરની આયાત શુલ્કમાં ઘટાડો કરવામાં આવે. જો બજેટમાં નાણાંમંત્રી તરફથી આવી કોઈ જાહેરાત થાય છે, તો ઘરેલુ બજારમાં ભાવમાં તરત અસર જોવા મળશે અને ભાવ નીચે આવી શકે છે. આવી સ્થિતિમાં ખાસ કરીને ટૂંકા ગાળાના ટ્રેડર્સ વેચવાલી તરફ વળે તેવી સંભાવના છે.

આ ઉપરાંત, પ્રોફિટ બુકિંગ પણ ભાવ ઘટવાનું એક મોટું કારણ બની શકે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં સોનાં-ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હોવાથી મોટા રોકાણકારો અને સંસ્થાગત ખેલાડીઓ બજેટની આસપાસ નફો વસૂલવાની વ્યૂહરચના અપનાવી શકે છે. બજારમાં આવતી આ વેચવાલીથી ભાવ પર દબાણ વધશે અને થોડો સમય માટે ઘટાડો જોવા મળી શકે છે.
જો કે, લાંબા ગાળાની તસવીર જોવામાં આવે તો નિષ્ણાતો હજી પણ તેજી તરફ ઝુકાવ બતાવી રહ્યા છે. આર્થિક સર્વેક્ષણ 2025-26 અને વૈશ્વિક માર્કેટ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર 2026 દરમિયાન સોના અને ચાંદી બંને મજબૂત સ્તરે ટકેલા રહી શકે છે. વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાવ, વેપાર યુદ્ધ અને અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સોનાં-ચાંદીને સુરક્ષિત રોકાણ તરીકે પસંદ કરી રહ્યા છે. આ ‘સેફ હેવન’ માંગ લાંબા ગાળે ભાવને સપોર્ટ આપશે.
ખાસ કરીને ચાંદી માટે આગાહી વધુ તેજીની છે. ઇલેક્ટ્રિક વાહનો, સોલર એનર્જી અને અન્ય ગ્રીન ટેકનોલોજીમાં ચાંદીની વધતી ઔદ્યોગિક માંગને કારણે આવનારા સમયમાં તેના ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે. કેટલાક નિષ્ણાતો તો એવું પણ માને છે કે યોગ્ય પરિસ્થિતિઓમાં ચાંદી ફરી એક વખત ચારથી પાંચ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર તરફ આગળ વધી શકે છે.
ખરીદદારો માટે હાલની પરિસ્થિતિમાં સાવચેત અભિગમ અપનાવવાની સલાહ આપવામાં આવી રહી છે. જો તમે દાગીનાં અથવા ભૌતિક સોનાં-ચાંદી ખરીદવાનો વિચાર કરી રહ્યા હો, તો બજેટની જાહેરાત સુધી રાહ જોવી સમજદારીભર્યું પગલું બની શકે છે. બજેટ બાદ જો ભાવમાં ઘટાડો આવે, તો તે ખરીદી માટે સારો અવસર સાબિત થઈ શકે છે.
રોકાણકારો માટે નિષ્ણાતોનો અભિગમ થોડો અલગ છે. ટૂંકા ગાળાની ઉથલપાથલથી ગભરાવાની જરૂર નથી. જો બજેટ પછી ભાવમાં ઘટાડો થાય, તો તેને ‘બાય ઓન ડિપ્સ’ તરીકે જોવું જોઈએ. એકથી બે વર્ષના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સોનાં અને ચાંદી બંને હજી પણ મજબૂત રોકાણ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે અને આવનારા સમયમાં ફરી ચમકવાની સંભાવના છે.


