PM મોદી અને મોરિશિયસના PM વચ્ચે દ્વિપક્ષી કરારો થયા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં મોરિશિયસના વડા પ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષી ચર્ચા કરી હતી. મોદી અને ડો. રામગુલામ વચ્ચેની વાતચીત બાદ બંને દેશો વચ્ચે અનેક કરારો (MoUs) પર હસ્તાક્ષર થયા. આ પ્રસંગે મોદીજી કહ્યું હતું કે મને ગર્વ છે કે ભારત અને મોરિશિયસ માત્ર ભાગીદાર નથી, પરંતુ એક પરિવાર છે.

મોરિશિયસ ભારતની Neighbourhood Firstની નીતિ અને વિઝન મહાસાગરનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે. માર્ચમાં તેમને મોરિશિયસના રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજર રહેવાનો અવસર મળ્યો હતો. તે સમયે બંને દેશોએ પોતાના સંબંધોને વધુ ઊંચી વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપ્યો હતો. આજે દ્વિપક્ષી સહકારનાં તમામ પાસાંઓની વિગતવાર સમીક્ષા થઈ હતી. બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કર્યો. મોદીએ ચાગોસ કરાર પૂર્ણ થવા પર PM રામગુલામ અને મોરિશિયસની જનતાને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

ભારતની બહારનું પહેલું જન ઔષધિ કેન્દ્ર મોરિશિયસમાં સ્થાપિત થયું છે. હવે ભારત મોરિશિયસમાં આયુષ ઉત્તમતા કેન્દ્ર, ૫૦૦ પથારીવાળું સર શ્રીવસાગર રામગુલામ રાષ્ટ્રીય હોસ્પિટલ (SSRN), પશુચિકિત્સા વિદ્યાલય અને પશુ હોસ્પિટલના નિર્માણમાં સહયોગ આપશે. એ સાથે જ ચાગોસ સમુદ્રી સુરક્ષિત વિસ્તાર, SSR આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો ATC ટાવર, હાઈવે અને રિંગ રોડના વિસ્તરણ જેવા પ્રોજેક્ટ્સને પણ આગળ વધારશે. મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આ સહાય નહીં પરંતુ અમારા સંયુક્ત ભવિષ્યમાં રોકાણ છે. ગયા વર્ષે મોરિશિયસમાં UPI અને RuPay કાર્ડ લોન્ચ કરવામાં આવ્યાં હતાં. હવે સ્થાનિક ચલણમાં વેપાર સક્ષમ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.

આ બેઠક પહેલાં વડા પ્રધાન મોદીએ વારાણસીમાં રોડ શો કર્યો હતો. તેમણે શહેરમાં પોલીસ લાઇનથી હોટેલ તાજ સુધી રોડ શો કર્યો. મોદી ત્યારબાદ બપોરે દહેરાદૂન જવાના છે અને સાંજે ૪:૧૫ વાગ્યે ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે તથા સાંજે ૫ વાગ્યે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.