નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદે ભારે ટેન્શન પ્રવર્તતું હતું, જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. જોકે તેમ છતાં પાકિસ્તાનની કેબિનેટે આજે (20 મે) મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે જનરલ અસીમ મુનિરને ફીલ્ડ માર્શલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.પાકિસ્તાની સશસ્ત્ર દળોમાં ફીલ્ડ માર્શલની પોસ્ટ સર્વોચ્ચ માનવામાં આવે છે. પાકિસ્તાનના ઈતિહાસમાં જનરલ અસીમ મુનીર બીજા ફીલ્ડ માર્શલ બની ગયા છે. આ પહેલાં અયૂબ ખાનને 1959-1967 દરમિયાન ફીલ્ડ માર્શલનની પોસ્ટ આપવામાં આવી હતી.
. પાકિસ્તાન આર્મીના પ્રમુખ અસીમ મુનીર સામે રાજકીય દળોમાં પણ જબરદસ્ત ગુસ્સો જોવા મળે છે. તેમની પાર્ટીના ફવાદ ખાન,ઉમર અયૂબ ખાન, મહમૂદ ખાન અચકઇ મુનીરને ટાર્ગેટ કરતા રહે છે. થોડા દિવસે પહેલાં પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર મુનિર આઉટ નામનો ટ્રેંડ ચાલી રહયો હતો, જેના માટે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇ (પાકિસ્તાન તહરિકે ઇન્સાફ)ને જવાબદાર ગણવામાં આવે છે. મુનીરને હટાવો, ઇમરાન ખાનને મુકત કરો અને પાકિસ્તાન બચાવો વગેરે સૂત્રો પીટીઆઇના ઓફિશિયલ હેન્ડલ પર જોવા મળે છે.
અસીમ મુનીર કોણ છે?
અસીમ મુનિર 2022થી પાકિસ્તાનના આર્મી ચીફ છે. તેઓ પાકિસ્તાનના 11મા આર્મી ચીફ છે. આર્મી ચીફ બનતાં પહેલાં તેઓ GHQમાં ક્વાર્ટર માસ્ટર જનરલ તરીકે તહેનાત હતા. મુનિરે 1986માં લશ્કરી કારકિર્દી શરૂ કરી હતી અને હવે 2025માં ફીલ્ડ માર્શલ બન્યા છે. તેમને નિશાન-એ-ઇમ્તિયાઝ, હિલાલ-એ-ઇમ્તિયાઝ અને સ્વોર્ડ ઓફ ઓનર (પાકિસ્તાન)થી પણ નવાજવામાં આવ્યા છે.
