બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યાઃ બેરહમીથી માર, પછી ઝેર પિવડાવ્યું

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યા કરવામાં આવી છે. જોય મહાપાત્રો નામના એક હિંદુ યુવકને પહેલાં બેરહમીથી માર મારવામાં આવ્યો અને એ પછી તેને ઝેર પિવડાવવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે હિંદુઓ પર થતા હુમલાઓ અટકવાનું નામ લઈ રહ્યા નથી. છેલ્લા 18 દિવસમાં બાંગ્લાદેશમાં સાત હિંદુ પુરુષોની હત્યા થઈ ચૂકી છે.

સુનામગંજ જિલ્લાના દિરાઈ ઉપઝિલાના ભંગદોહોર ગામમાં 8 જાન્યુઆરીએ જોય મહાપાત્રો નામના એક હિંદુ યુવકની હત્યા કરવામાં આવી. પરિવારજનોના જણાવ્યા અનુસાર જોયને પહેલાં માર મારવામાં આવ્યો હતો અને બાદમાં અમીરુલ ઇસ્લામ નામના એક સ્થાનિક મુસ્લિમે તેને ઝેર આપ્યું હતું. ત્યાર બાદ સિલહટ એમએજી ઉસ્માની મેડિકલ કોલેજ હોસ્પિટલના ICUમાં તેનું મોત થયું.

બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાઓમાં થયેલો વધારો ફરી એક વાર એ વાત સ્પષ્ટ કરે છે કે જ્યારે પણ સરકારની પકડ નબળી પડે છે, ત્યારે હિંદુ અલ્પસંખ્યકો સામે હિંસા વધે છે.

કઠોર કાર્યવાહી જરૂરી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અમે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો તેમ જ તેમનાં ઘરો અને વ્યવસાયો પર અતિરેકવાદીઓ દ્વારા વારંવાર થઈ રહેલા હુમલાઓની ચિંતાજનક શ્રેણી જોઈ રહ્યા છીએ. આવી સાંપ્રદાયિક ઘટનાઓ સામે તરત અને કઠોર રીતે કાર્યવાહી કરવી જરૂરી છે. અમે આવી ઘટનાઓને વ્યક્તિગત દુશ્મનાવટ, રાજકીય મતભેદો અથવા બાહ્ય કારણો સાથે જોડવાની એક ચિંતાજનક પ્રવૃત્તિ પણ જોઈ છે. આવી અવગણનાથી ગુનેગારોના હિંમત વધે છે અને અલ્પસંખ્યકોમાં ભય તથા અસુરક્ષાની ભાવના વધુ ઘેરી બને છે.

સાંપ્રદાયિક હિંસાની 51 ઘટનાઓ નોંધાઈ

બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ (BHB CUC) એ ગયા મહિને જ સાંપ્રદાયિક હિંસાની 51 ઘટનાઓ નોંધાવી હતી. તેમાં 10 હત્યાઓ, ચોરી અને લૂંટના 10 કેસ, તેમ જ ઘરો, વેપારી પ્રતિષ્ઠાનો અને મંદિરો પર કબજો, લૂંટફાટ અને આગજનીની 23 ઘટનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં ચાર વધુ હિંદુઓની હત્યા થઈ ચૂકી છે, જેને કારણે ડિસેમ્બરથી અત્યાર સુધીમાં મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા વધીને 14 થઈ ગઈ છે.