અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની આજે પૂર્ણાહુતિ

બનાસકાંઠા: આજે ભાદરવી પૂનમનાં મેળાનો અંતિમ દિવસ છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી માતાજીનાં મંદિરે ધજા ચડાવશે. જેને લઈ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તેમજ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ખાસ ઉપસ્થિત છે. પોલીસ પરિવારના ધજા ચડાવ્યા બાદ મેળાની પૂર્ણાહુતિ જાહેર કરાશે. છેલ્લાં 6 દિવસમાં 27 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાનાં દર્શન કર્યા છે. મા અંબાના નિજ મંદિરે ભક્તો મોટી મોટી ધજાઓ લઈને ચાચર ચોકમાં આવી રહ્યા છે. જેને લઈને સમગ્ર અંબાજી લાલ ધજાઓથી લાલ રંગમાં રંગાઈ ગયું છે. ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને આવે છે. મા અંબાને ચડાવેલ ધજાઓને અંબાજી મંદિર દ્વારા નિઃશુલ્ક પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે. શિખર પર ચડાવેલ ધજાઓ ભક્તો મા અંબાના પ્રસાદરૂપે સાથે લઈ જાય છે. પોતાના ઘરે, ગામડે અથવા તો ગામના મંદિરના શિખર ઉપર ધજારોહણ કરીને મા અંબાને નવરાત્રીમાં પધારવાનું આમંત્રણ આપે છે.