અમદાવાદ: AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) દ્રારા જુલાઈ-ડિસેમ્બર 2024 બેચના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જે પ્રસંગે તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે AMA એલ્યુમની નેટવર્ક સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું.
AMAના પ્રમુખ, ડો. સાવન ગોડિયાવાલાએ જણાવ્યું હતું કે, “જેમ-જેમ આપણે આપણા સ્નાતક ડિપ્લોમા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિધ્ધિઓ અને પરિવર્તનોની ઉજવણી કરીએ છીએ, તેમ-તેમ કોઈ પણ સંસ્થામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખવી એ ખૂબ જ જરૂરી છે. તેઓ આપણા વારસાના કાયમી આધારસ્તંભ છે. આપણા મૂલ્યોને આગળ ધપાવે છે, આપણી પ્રતિષ્ઠામાં ફાળો આપે છે અને પેઢીઓ વચ્ચે સેતુ બાંધે છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાતત્ય, પ્રેરણા અને સહયોગનું પ્રતિનિધિત્વ કરે છે. આ ભાવના સાથે, અમે AMAનું એલ્યુમની નેટવર્ક શરૂ કર્યું છે, જેમાં AMA ડિપ્લોમાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે આજીવન જોડાણ, વ્યાવસાયિક વિકાસ અને સાર્થક સંબંધો માટે એક સ્થાન તરીકે કલ્પના કરવામાં આવી છે.”
આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. જે. એમ. વ્યાસ, વાઇસ ચાન્સેલર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને અતિથિ વિશેષ તરીકે પ્રિયાંશી પટેલ (એમ.ડી., તિરુપતિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ; સ્થાપક, ઓલિક્સિર ગોર્મેટ એન્ડ કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ્સ; સહ-સ્થાપક, કર્મા ફાઉન્ડેશન; ઇઓ પોર્ટફોલિયો મેમ્બર) ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એનાયત કર્યા, ગોલ્ડ મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા, અને વ્યક્તિઓ, સંસ્થાઓ અને સમાજને સશક્ત બનાવવા માટે સતત શિક્ષણ પ્રત્યે AMAના વિઝન પર પ્રકાશ પાડ્યો હતો. AMAના નિરંતર શિક્ષણ મોડેલ આધારિત વિવિધ પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કાર્યક્રમોએ માર્કેટિંગ અને સેલ્સ, હ્યુમન રિસોર્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ, એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડ, ફાઇનાન્સ, હેલ્થકેર અને હોસ્પિટલ, બેન્કિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં નવીન કાર્યક્રમો થકી એક અજોડ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે. આજે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સાન બર્નાર્ડિનો (CSUSB) યુ.એસ.એ.ના સહયોગથી AMAના પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સ અનન્ય બ્રાન્ડ-વેલ્યુ ધરાવે છે.
