અદાણી ફાઉન્ડેશનનો 10 લાખ મહિલા ઉદ્યોગસાહસિકોને સક્ષમ બનાવવાનો નિર્ધાર

મુંબઈ: અદાણી સમૂહની સામાજિક કલ્યાણ અને વિકાસ પ્રવૃત્તિઓ માટેની એક પાંખ એટલે અદાણી ફાઉન્ડેશન. જેની સ્થાપનાના 30 વર્ષ આગામી ૧૧મી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પૂર્ણ થાય છે. ત્યારે તેની અગ્રીમ મહિલાઓના સશક્તિકરણની ’સ્વાભિમાન’ પહેલના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. ધ્યેય સમગ્ર ભારતમાં ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોને સક્ષમ બનાવવાનો છે.ગુરુવારે મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતેના કાર્યક્રમ “સ્વાભિમાન – ધ રાઇઝ ઓફ શી” માં આ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મહિલાઓની આજીવિકા, ઉદ્યોગસાહસિકતા અને નાણાકીય સ્વતંત્રતા પર વધતી જતી અસર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરતી આ પહેલના વિસ્તરણના પ્રથમ તબક્કાનો હેતુ પહેલા વર્ષમાં એક લાખ મહિલાઓને સશક્ત બનાવવાનો છે. તે અંતર્ગત મહિલાઓ દ્વારા સંચાલિત સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકતા અને પાયાની ઉદ્યોગસાહસિકતા માટે નવી તકો ઊભી કરવાનો છે.

મહારાષ્ટ્ર સરકારના મહિલા આર્થિક સશક્તિકરણ અને સ્વ-સહાય જૂથ વિકાસ માટેની નોડલ એજન્સી, મહિલા આર્થિક વિકાસ મહામંડળ (MAVIM) સાથે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ આધારિત ભાગીદારીમાં શરુ થયેલો ’સ્વાભિમાન’ કાર્યક્રમ શરુથી જ મુંબઈમાં વંચિત સમુદાયોની ૪,૫૦૦થી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ, ઉદ્યોગસાહસિકતા વિકાસ અને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા દ્વારા ટકાઉ આજીવિકા વિકસાવવા માટે પીઠબળ આપી રહ્યો છે.

અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે, મુંબઈના મેયર રીતુ તાવડે અને મહિલા આર્થિક વિકાસ મહામંડળના મેનેજિંગ ડિરેક્ટર નંદિની આવડેએ હાજરી આપી હતી.

એક અગત્યની તાકીદની બેઠકમાં હાજરી આપવાનું થતાં ઇચ્છા જાહેર કરી હોવા છતા આ કાર્યક્રમમાં હાજરી નહી આપી શકેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક સંદેશમાં મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ઉત્કૃષ્ટ સામાજિક કાર્ય માટે અદાણી સમૂહ અને અદાણી ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા હતા.

મુંબઈમાં મહિલાઓની-આગેવાની હેઠળના સમુદાય-સંચાલિત બજાર સ્વતેજા માર્ટને ઉપસ્થિત અતિથિગણે સંયુકત રીતે ખુલ્લું મૂકયું હતું. આ બજાર સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકોને તાલીમ, બજારોના જોડાણો અને ઓનલાઈન અને ઓફલાઈન બંને ચેનલો દ્વારા તેમના ઉત્પાદનોના વેચાણ માટે તૈયાર મંચ પૂરો પાડે છે. આ વેળા સ્વતેજા માર્ટ પહેલ હેઠળ ક્લાઉડ કિચન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

મહાનુભાવોએ સ્વાભિમાન કાર્યક્રમ દ્વારા જેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે તેવી મહિલાઓની પ્રેરણાદાયી સફર દર્શાવતી કોફી ટેબલ બુકનું પણ અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમ સમગ્ર મુંબઈમાં શરુથી જ ૮00થી વધુ મહિલાઓને “લખપતિ દીદી” બનવા માટે સક્ષમ બનાવી ચૂક્યો છે, જે માળખાગત આજીવિકા અને ઉદ્યોગસાહસિક સહાયની પરિવર્તનશીલ સંભાવના દર્શાવે છે.

અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે સ્વાભિમાન એ મહિલા આર્થિક વિકાસ મહામંડળના સૌથી સફળ સાહસોમાંનો એક કાર્યક્રમ છે અને મહિલા સશક્તિકરણ માટે એક શક્તિશાળી રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યો છે. રીતુ તાવડેએ જણાવ્યું હતું કે સ્વાભિમાન જેવી પહેલ નાણાકીય આત્મવિશ્વાસ અને ઉદ્યોગસાહસિકની ભાવના બનાવીને વંચિત મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે.”

ડૉ. પ્રીતી અદાણીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં એક લાખ મહિલાઓથી શરૂ કરીને હવે સમગ્ર ભારતમાં અમે ૧૦ લાખ મહિલાઓને સશક્ત બનાવવા માટેના કાર્યક્રમનો જેમ જેમ વિસ્તાર કરીએ છીએ ત્યારે અમારું ધ્યાન ટકાઉ આજીવિકાને સક્ષમ બનાવવા અને મહિલાઓના-નેતૃત્વ હેઠળના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રીત રહે છે જેની અસર કાયમી રહે છે.

અદાણી ફાઉન્ડેશન હાલમાં શિક્ષણ, આરોગ્યસંભાળ, ટકાઉ આજીવિકા, આબોહવા કાર્યવાહી અને સમુદાય વિકાસ પર કેન્દ્રિત કાર્યક્રમો દ્વારા ભારતના ૨૨ રાજ્યના ૭,000થી વધુ ગામડાઓમાં આશરે ૯૬ લાખથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.