રાજ્યમાં મેઘરાજાએ લીધો વિરામ, ભારે વરસાદની શક્યતા નહીંવત

અમદાવાદ: રાજ્ય ઉપર હાલ એકપણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે આગામી 21મી ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના નહિવત છે. તેમ છતાં કેટલાંક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. પરંતુ રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીંવત છે. આ વચ્ચે છેલ્લાં 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દેવભૂમી દ્વારકામાં પોણા ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો એવરેજ 72.52 ટકા વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે તેવી આગાહી કરી છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 6 દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત પ્રમાણમાં છે. તેમજ પવનની ગતિ પણ સામાન્ય રહેતા માછીમારો માટે પણ કોઈ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છુટાં-છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.