ગુજરાત વિદ્યાપીઠ ખાતે 70મો પદવીદાન સમારોહ યોજાયો

અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષો જૂની પરંપાર તૂટી અને નવી પરંપરાની શરૂઆત થઈ. વર્ષોથી વિદ્યાપીઠમાં ઓક્ટોબર મહિનામાં પદવીદાન સમારોહનું આયોજન થતું હતું. આ વર્ષે પ્રથમ વખત ગુરુપૂર્ણિમાના પાવન પર્વે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની હાજરીમાં 70મો પદવીદાન સમારોહ યોજાયો. પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મભૂષણ રાજશ્રી બિરલા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 972 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી. પદવીદાન સમારોહમાં 39 પીએચડી, 5 એમ.ફિલ., 457 અનુસ્નાતક, 424 સ્નાતક, 47 પી.જી. ડિપ્લોમા એમ કુલ 972 વિદ્યાર્થી ભાઈ બહેનોને ડિગ્રી એનાયત કરાઇ હતી.

આચાર્ય દેવવ્રતએ વિદ્યાર્થીઓને કહ્યું, “જીવનમાં ક્યાંય પણ જાઓ એવો આચાર, વિચાર અને વ્યવહાર રાખજો કે ગૂજરાત વિદ્યાપીઠનું ગૌરવ વધે. રાષ્ટ્રસેવા, માનવસેવા અને જીવસેવાના ભાવ સાથે, સર્વના કલ્યાણની ભાવના સાથે જીવનમાં ખૂબ પ્રગતિ કરજો.” પ્રાકૃતિક ખેતી માટે સૌને પ્રેરણા આપતાં આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, આજકાલ આપણી ખેતી હિંસક થઈ ગઈ છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનું કામ જ છે, મારો..મારો.. મારો.. આપણે મિત્ર જીવો અને સૂક્ષ્મ જીવ-જંતુઓને ખતમ કરી રહ્યા છીએ અને એટલે જ આપણે ખતરનાક ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છીએ. આ પ્રસંગે પદ્મભૂષણ રાજશ્રીબેન બિરલા, નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, અલ્હાબાદ યુનિવર્સિટીના કુલાધિપતિ તથા યુજીસીના સભ્ય આશિષ ચૌહાણ, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ .હર્ષદ પટેલ, વિદ્યાપીઠનું સમગ્ર ટ્રસ્ટી મંડળ અને અધ્યાપકો, વાલીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.