પ્રતિ દિન 35 મુસાફરો રેલવેના ખોરાક અંગે કરે છે ફરિયાદ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેના ખોરાક વિશે વારંવાર ચર્ચા થતી રહે છે. દરરોજ 35થી વધુ લોકો રેલવેના ખોરાક અંગે ફરિયાદ નોંધાવે છે. અહેવાલ મુજબ ખોરાકમાં વંદા અથવા અન્ય કીડા મળવા, કે બહારની વસ્તુ મળી આવવાની ફરિયાદો સતત આવી રહી છે. એ સાથે-સાથે ખોરાકની ગુણવત્તા, ખોરાકની માત્રા અને વધારે કિંમત વસૂલવા અંગે પણ ફરિયાદો નોંધવામાં આવી રહી છે.

વર્ષ દરમિયાન આવી 13,000  ફરિયાદો

રેલવે મંત્રીએ કહ્યું હતું કે એક વર્ષમાં 16 કરોડ મુસાફરોને ખોરાક પીરસવામાં આવ્યો છે અને તેમાં માત્ર 0.008 ટકા કેસોમાં જ ફરિયાદ નોંધાઈ છે. તેમનું કહેવું છે કે ખોરાક અંગેની ફરિયાદોની સંખ્યા ખૂબ જ ઓછી છે. છતાં રેલવે તેમાં સુધારા માટે પ્રયત્નશીલ છે. રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે અમારી કોશિશ છે કે કોઈ પણ મુસાફરને ખોરાકને લઈને મુશ્કેલી ન પડે. મિડિયા અહેવાલ મુજબ એક અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે પાસે ખોરાક અંગે અંદાજે 13,000 ફરિયાદો આવી છે.

સામાન્ય એક્સપ્રેસ ટ્રેનો જ નહીં, પણ વંદે ભારત ટ્રેનોમાં પણ ખરાબ ખોરાક અંગે ફરિયાદો આવતી રહે છે. છેલ્લા એક વર્ષમાં મુસાફરોએ આગ્રા–બનારસ વંદે ભારત ટ્રેનમાં નીચી ગુણવત્તાવાળા ખોરાક અંગે ઘણી ફરિયાદો કરી છે. કામાખ્યા–ગુવાહાટી તેજસ એક્સપ્રેસમાં પણ ખરાબ ખોરાક પીરસવાના મામલા સામે આવ્યા છે.

મુસાફરોએ શું લખ્યું?

તાજેતરમાં એક મુસાફર અનીતા સિંહે ફરિયાદમાં લખ્યું હતું કે તેમને આપવામાં આવેલી રોટલી પાપડ જેવી કઠોર હતી, જ્યારે પનીર અને દાળ બેસ્વાદ હતાં. બીજા એક મુસાફર રવિએ લખ્યું કે ભોપાલ વંદે ભારત ટ્રેનમાં તેને પીરસાયેલા ખોરાકમાં વંદો મળ્યો હતો. રેલવે દાવો કરે છે કે તેમના રસોડા સ્વચ્છ હોય છે અને મુસાફરોને શુદ્ધ ખોરાક આપવામાં આવે છે. મુસાફરોની ફરિયાદોના નિરાકરણ માટે રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મની સુવિધા આપવામાં આવી છે. જો કોઈ મુસાફર ફરિયાદ કરે અને તે સાચી સાબિત થાય, તો રેલવે કેટરિંગ ઠેકેદારો પર દંડ પણ લગાવવામાં આવે છે.