પ્રશ્ન: ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ કેરી ખાઈ શકે? અગર ખાઈ શકે તો એ કેટલા પ્રમાણમાં લેવી જોઈએ?
– ક્રિષ્ના પટેલ (વડોદરા)
ઉત્તર: હા, ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ ચોક્કસ કેરી ખાઈ શકે, પણ એ કેટલા પ્રમાણમાં લઈ શકાય એ વ્યક્તિગત રીતે નક્કી કરવું પડે, જે સુગર લેવલ પર નિર્ભર છે. બહેતર છે કે તમારા ડૉક્ટરની સલાહ લઈને કેરી ખાવાનું રાખવું. આમ પણ કેરી નિયંત્રિત માત્રામાં જ લેવી જોઈએ.
કેરીની ગ્લાયસેમિક ઈન્ડેક્સ 51થી 60ની વચ્ચે છે અને પંચાવનથી વધુ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ધરાવતા ખાદ્ય પદાર્થોને હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ફૂડ ગણવામાં આવે છે. આમ, કેરી એ વધુ સુગર ધરાવતા ફ્રૂટમાં સ્થાન પામે છે. કેરી લંચની સાથે લેવાય તો એ સુગરને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરશે. બીજું, કેરીનો રસ કાઢીને એ જમવામાં લેવાને બદલે કેરી સુધારીને જ ખાવી, કારણ કે કેરીમાં રહેલ રેસાયુક્ત ભાગ સુગરને વધતાં અટકાવી શકે છે, જ્યારે રસમાં આ રેસાનું પ્રમાણ ઘટી જાય છે.
પ્રશ્ન: ન્યુટ્રિશનને લગતા એક લેખમાં જણાવ્યું હતું કે ફાઈબર્સ એટલે કે રેસાયુક્ત ખાદ્યોનો ઉપયોગ આપણા માટે લાભકારક છે. આ ફાઈબર શરીરને કઈ રીતે ઉપયોગી છે?
– બીના પટેલ (અમદાવાદ)
ઉત્તર: સૌપ્રથમ તો ફાઈબર્સ બે પ્રકારનાં હોય છે. એક સોલ્યુબલ ફાઈબર કે જે પાણી અથવા પ્રવાહીમાં ઓગળી જાય છે અને એ પાચન સમયે જેલ જેવી સ્થિરતા અથવા કન્સિસ્ટન્સી ધરાવે છે, જેના દ્વારા સુગરને કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે અને એ કૉલેસ્ટરોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. સોલ્યુબલ ફાઈબર ભૂખ સંતોષવામાં પણ ઉપયોગી છે. આ પ્રકારનાં ફાઈબર્સ આપણને ઓટ્સ, નટ્સ, બધા પ્રકારનાં સીડ્સ, કઠોળ, ફ્રૂટ્સ તેમ જ શાકભાજીમાંથી મળી રહે છે.
બીજા પ્રકારનાં ફાઈબર્સને ઈનસોલ્યુબલ ફાઈબર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનાં ફાઈબર્સ પ્રવાહી અથવા પાણીમાં ડિઝોલ્વ થતાં નથી (ઓગળતાં નથી) અને પાચનક્રિયા દરમિયાન પણ એ મૂળ સ્વરૂપમાં જ રહે છે. આ પ્રકારનાં ફાઈબર્સ સ્ટૂલ (મળ) બાંધવાનું કામ કરે છે. મોટા ભાગે કબજિયાત ધરાવતી વ્યક્તિ તેમ જ મળત્યાગની અનિયમિત આદતવાળી વ્યક્તિ માટે આ ઈનસોલ્યુબલ ફાઈબર ઔષધિ સમાન છે. ઘઉંની થૂલી, અમુક પ્રકારનાં શાકભાજી અને આખા અનાજ આ પ્રકારનાં ફાઈબર્સના મુખ્ય સ્રોત છે. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, લિગ્નિન-ઈસબગોલ, વગેરે આ પ્રકારનાં ફાઈબર્સનાં ઉદાહરણો છે.
આમ, બન્ને પ્રકારનાં ફાઈબર્સ મુખ્યત્વે સુગરને નૉર્મલ રાખવામાં, કૉલેસ્ટરોલ ઘટાડવામાં, ભૂખ વહેલી સંતોષવામાં તેમ જ ડાઈજેસ્ટિવ સિસ્ટમ સુધારવામાં મદદ કરે છે આથી બન્ને પ્રકારનાં ફાઈબર્સનો ખોરાક તરીકે ઉપયોગ થાય એ જરૂરી છે.
પ્રશ્ન: સાંજના સમયે ભૂખ લાગે ત્યારે મોટા ભાગે અનહેલ્ધી નાસ્તાની ક્રેવિંગ થાય છે. આ એ સમય છે જ્યારે ડાયેટ કન્ટ્રોલ કરવો મુશ્કેલ બને છે. મને એ સમયે લઈ શકાય એવા થોડા હેલ્ધી નાસ્તાની ટિપ્સ તથા ઑપ્શન આપશો?
– કલગી દવે (બેંગલુરુ)
ઉત્તર: આપની વાત સાથે હું ચોક્કસપણે સંમત છું. દિવસ દરમિયાન અગર કોઈ એક સમયે અનહેલ્ધી ફૂડ લેવાતું હોય તો એ સાંજનો સમય છે. આપણે હેલ્ધી લંચ તો નિયંત્રિત રીતે લઈએ છીએ, પરંતુ ત્યાર બાદ સાંજે જ્યારે ભૂખ લાગે ત્યારે હેલ્ધી નાસ્તાના ઓછા વિકલ્પ આપણી પાસે હોય છે. એમાં પણ તમે વર્કિંગ પર્સન છો તો તમારી પાસે આ વિકલ્પ ખૂબ ઓછા હોય છે. આ માટે પહેલાં તો તમે તમારી સાથે થોડા હેલ્ધી ડ્રાય નાસ્તા રાખવાની આદત કેળવો. કોરા નાસ્તા, જેવા કે ખાખરા, દાળિયા, મમરા, શિંગ, દાબેલા ચણા, વગેરે ડ્રાય સ્નૅક્સ છે.
જો તમે સાંજના સમયે ઘરે આવી ગયા છો તો બીજા હેલ્ધી નાસ્તાના ઘણા વિકલ્પો છે કે જે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હશે. મસાલા કૉર્ન, પીનટ ચાટ, માખણ ચેવડા, બેસન ચિલ્લા, ચના મસાલા વિથ ચૉપિંગ વેજિટેબલ્સ, ગ્રેનોલા, ફ્રૂટ સૅલડ, સ્પ્રાઉટ ભેળ, સ્મૂધી, વગેરે. અત્યારે પ્રોટીન બાર તેમ જ પ્રોટીન બિસ્કિટ્સ પણ ખૂબ ટ્રેન્ડમાં છે, જે તમે ઘરે અથવા બહાર પણ સરળતાથી મેળવી શકશો, જે તમારી ભૂખ કે ક્રેવિંગ સંતોષવાની સાથે સાથે તમારી હેલ્થને જાળવી રાખવામાં મદદ કરશે.
હેલ્થ ટિપ્સ…
* આ ઋતુનો સંક્રમણકાળ છે એટલે કે ઉનાળો પૂરો થઈ ચોમાસું બેસવામાં છે (એવુંય બને કે ચિત્રલેખાનો અંક તમારા હાથમાં હોય ત્યારે ચોમાસું વિધિવત્ બેસી ગયું હોય) એટલે તબિયતનું ખાસ ધ્યાન રાખવું. આ ગાળામાં શરદી, તાવ જેવી વ્યાધિની શક્યતા ઘણી વધારે હોય છે. વાતાવરણમાં ભેજ વધે એટલે ચામડી પર ફંગલ ઈન્ફેક્શન થવાના પણ ચાન્સ રહે.
* અત્યારે આમ પણ વાઈરલ બીમારીના બહુ વાયરા છે. ઘરનાં વડીલો કે બાળકો બહુ ભીડભાડવાળી જગ્યાએ જઈ રહ્યાં હોય તો એમને માસ્ક પહેરવાનું સૂચવો. કોરોના દરવાજે ટકોરા મારી જ રહ્યો છે. ના, ડરવાની જરૂર નથી, પણ સાવચેત તો રહેવું જ.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
