‘વંદે વીર’ માત્ર 14 મિનિટમાં કરશે ‘વંદે ભારત એક્સપ્રેસ’ની સાફ-સફાઈ

દેશની સેમી હાઈ-સ્પીડ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’માં ઝડપથી સફાઈકામ હાથ ધરવા માટે ભારતીય રેલવે તંત્રએ જાપાનની રીત અપનાવી છે. આ રીતનું નામ અપાયું છે ’14 મિનિટનો ચમત્કાર’. મતલબ કે હાલની જેમ 45 મિનિટમાં નહીં, પણ માત્ર 14 મિનિટમાં જ આખી ટ્રેનની સફાઈ કરવામાં આવશે. 1 ઓક્ટોબર, રવિવારથી આ અનોખા સફાઈકાર્યનો શુભારંભ નવી દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશન ખાતેથી કરવામાં આવ્યો છે.

રેલવે તંત્રએ આ સફાઈકર્મીઓને ‘વંદે વીર’ નામ આપ્યું છે. દેશમાં રેલવે તંત્રએ આ પ્રકારની ઝુંબેશ પહેલી જ વાર શરૂ કરી છે.

દેશમાં હાલ 29 સ્ટેશનો પરથી 34 ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનો દોડાવવામાં આવે છે. આ સ્ટેશનો ખાતે આ ટ્રેનો જેવી તેની સફર પૂરી કરશે કે વંદે વીર ઝપાટાબંધ સફાઈકામમાં લાગી પડશે અને માત્ર 14 મિનિટમાં ટ્રેનનું સંપૂર્ણ સફાઈકામ કરશે. આ સફાઈકાર્યમાં કર્મચારીઓ ટ્રેનની ખુરશીઓ, ટેબલ અને બારીના પડદા ઠીક કરશે, ફ્લોર પરથી કચરો કુશળતાપૂર્વક વાળશે.

જાપાનમાં દરેક બુલેટ ટ્રેનમાં માત્ર સાત મિનિટમાં જ સફાઈકામ કરવામાં આવે છે. ત્યાં એને ‘સાત મિનિટનો ચમત્કાર’ નામ આપવામાં આવ્યું છે.