મુંબઈઃ ચોમાસા પૂર્વે સબવેમાં પાણી ભરાતું રોકવાની કામગીરી પૂરજોશમાં

મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં પૂર્વ-પશ્ચિમ ભાગોને જોડતા ત્રણ સબવે સ્થળોએ વરસાદી પાણી ભરાવાની અને એને કારણે ટ્રાફિક અટકી જવાની ઘટના બનતી હોય છે. આ વખતે જૂનમાં ચોમાસું બેસે એ પહેલાં દહિસર, અંધેરી અને સાંતાક્રૂઝ (મિલન) – એમ ત્રણ સબવે ખાતે વરસાદી પાણી ભરાતું રોકવા માટે મહાનગરપાલિકાએ પૂરતી તકેદારી લીધી છે અને એ માટે એન્જિનિયરિંગ કામકાજ હાથ ધર્યું છે. મહાપાલિકાના અતિરિક્ત મ્યુનિસિપલ કમિશનર પી. વેલરાસુએ ત્રણેય સબવે સ્થળોની મુલાકાત લીધી હતી અને કામકાજોની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. એમણે પમ્પિંગ સ્ટેશનોની પણ મુલાકાત લીધી હતી.

એવી જ રીતે, મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન અને મુંબઈ સબર્બન જિલ્લાના પાલક પ્રધાન આદિત્ય ઠાકરેએ વેલારાસુ અને એન્જિનિયરોની સાથે મુંબઈના પ્રમોદ મહાજન ઉદ્યાન, હિંદમાતા ફ્લાયઓવર જેવા સ્થળોની મુલાકાત લીધી હતી અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે વિશાળ અન્ડરગ્રાઉન્ડ ટાંકાઓના કામકાજનું નિરીક્ષણ કર્યું હતું. આ વિશાળ ટાંકાઓમાં વરસાદી તથા દરિયાની ભરતીનું પાણી 3 કલાક સુધી સચવાયેલું રહેશે અને ત્યારબાદ દરિયા તરફ મોકલી શકાશે. આમ, ચોમાસામાં આ નિચાણવાળા ભાગોમાં મૂશળધાર વરસાદ વખતે પાણી ભરાશે ત્યારે આ ભૂમિગત ટાંકાઓમાં જમા થઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.