બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ સ્વદેશી યુદ્ધજહાજ ‘INS ઈમ્ફાલ’ નૌકાદળમાં સામેલ

ગુપ્ત રીતે મિસાઈલ છોડીને દુશ્મન ટાર્ગેટનો નાશ કરી શકે એવા યુદ્ધજહાજ ‘INS ઈમ્ફાલ’ને 26 ડિસેમ્બર, મંગળવારે મુંબઈમાં નેવલ ડોક્યાર્ડ ખાતે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર, પશ્ચિમી નૌકા કમાન્ડના વડા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ વાઈસ-એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ‘INS ઈમ્ફાલ’ સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજી વડે બનાવવામાં આવ્યું છે. આ જહાજ પરથી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ પણ ફાયર કરી શકાશે.

આ યુદ્ધજહાજની ડિઝાઈન નૌકાદળની સંસ્થા વોરશિપ ડિઝાઈન બ્યૂરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને નિર્માણ મુંબઈસ્થિત સંરક્ષણ વિભાગ સંચાલિત જાહેર ક્ષેત્ર કંપની મઝગાંવ ડોક લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.

ભારતીય નૌકાદળનું આ પહેલું જ યુદ્ધજહાજ છે જેને દેશના ઈશાન ભાગના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું છે. ઈમ્ફાલ મણિપુર રાજ્યનું રાજધાની શહેર છે.

આ ગાઈડેડ મિસાઈલ યુદ્ધજહાજ આધુનિક રડારથી સજ્જ છે. તે હિંદ મહાસાગરમાં ચીનની હિલચાલ વધી ગઈ હોવાથી ‘આઈએનએસ ઈમ્ફાલ’ની હાજરીથી ભારતની દરિયાઈ તાકાત, સમુદ્રી ક્ષમતામાં વધારો થશે.