મોદીએ દીપ પ્રગટાવી દેવદિવાળી મહોત્સવની ઉજવણી કરી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બર, સોમવારે દેવદિવાળી પર્વ નિમિત્તે ઉત્તર પ્રદેશમાં એમના સંસદીય મતવિસ્તાર વારાણસી ખાતે ગયા છે. ત્યાં સાંજે એમણે રાજ ઘાટ ખાતે જઈને ‘દેવ દીપાવલી મહોત્સવ-2020’માં ભાગ લીધો હતો અને દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. એ સાથે જ ત્યાં હાજર રહેલાઓના ‘હર હર ગંગે’ના નાદથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. વડા પ્રધાને વારાણસીની જનતા સહિત તમામને કાર્તિક પૂર્ણિમા અને ગુરુ નાનક જયંતિ નિમિત્તે શુભેચ્છા આપી હતી.

ગંગા નદીના ઘાટ પર હજારો દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને ઘાટને રંગબેરંગી રોશનીથી સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યો હતો.

રાજ ઘાટ ખાતે પોતાના વક્તવ્યમાં પીએમ મોદીએ આકાશ તરફ હાથ કરીને કહ્યું હતું કે એવું લાગે છે કે આજે પૂનમની રાતે મહાદેવના માથા પર ચંદ્રમા ચમકી રહ્યા છે.

વડા પ્રધાન મોદીએ રાજ ઘાટ ખાતે જતા પહેલાં કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને પૂજા કરી હતી. એમની સાથે ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હતા.