15 રુપિયા GST ન ચૂકવ્યો તો લાગ્યો 20,000નો દંડ

એક વેપારીએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ન ચૂકવ્યો તો ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા તેની પર મસમોટો દંડ લગાવી દેવામાં આવ્યો. આંધ્રપ્રદેશના ટેક્સ ઓફિસર તરફથી એક ટ્રેડરને મોકલવામાં આવેલી કારણ દર્શાવો નોટિસમાં 20 હજાર રૂપિયાનો દંડ માંગવામાં આવ્યો છે. ટ્રેડરે 15 રૂપિયાનો જીએસટી નહોતો ચૂકવ્યો તે માટે તેને આવડો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. જીએસટી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એ વાત સ્પષ્ટ છે કે તમે જાણીજોઈને નિયમોનું ઉલ્લંઘન કર્યુંં છે અને દંડનીય અપરાધ કર્યો છે. આ પહેલાં આશરે બે મહિના પહેલાં સરકારે દેશભરમાં આશરે 200 અધિકારીઓને કહ્યું હતું કે તેઓ જે તે વ્યાપારીના ત્યાંથી ખરીદી કરે અને એવા વેપારીઓને શોધે જેઓ જીએસટીનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ઈટીએ જુલાઈમાં આ માહિતી આપી હતી કે સરકારે 200 સીનિયર આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓને વિભિન્ન શહેરો અને ગામડાંઓની જવાબદારી આપી છે કે જ્યાં તેમને જીએસટીના નિયમોનુ ઉલ્લંઘન કરનારા વ્યાપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને નાના દુકાનદારો કે જેઓ જીએસટીના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમની માહિતી આપો. આ અધિકારીઓએ એવા મામલાઓની જાણકારી સંબંધિત ટેક્સ ઓફિસરોને આપવાની શરૂ કરી છે કે તમામ લોકો પર એક્શન લેવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

જીએસટી લો માં દંડની રકમ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને ટેક્સ અધિકારીઓની મરજી અનુસાર છોડી દેવામાં આવ્યું છે. જો કે ઈન્ડસ્ટ્રી પર નજર રાખનારા લોકોનું માનીએ તો વેપારીઓ પાછળ આવી રીતે લાગી જવાથી નાના દુકાનદારો અને બિઝનેસમેન જીએસટીથી દૂર જઈ શકે છે. મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં કેટલાય ટેક્સ અધિકારીઓએ સર્ચ અને સર્વે કરવાનું શરૂ કરી દીધું છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય વધારેમાં વધારે કંપનીઓ અને અધિકારીઓને જીએસટીમાં લાવવાનો છે. નિષ્ણાતોનું માનીએ તો આવનારા થોડાસમયમાં દંડની રકમમાં વધારો થશે કારણ કે ટેક્સ અધિકારીઓ વિભિન્ન શહેરોમાં ઉપરછલ્લું નિરીક્ષણ કરી રહ્યાં છે.

આ અધિકારીઓ ગુજરાતના વડોદરાથી લઈને ઓડિશાના મયૂરગંજ અને જમ્મુ કાશ્મીરથી લઈને તમીલનાડુના કૃષ્ણાગિરિ સુધીના બજારોમાં જઈ રહ્યાં છે અને જીએસટીનું પાલન પર નજર રાખી રહ્યાં છે. આવી જ એક ઘટનામાં ગત મહિને દિલ્હી પાસેના એક વિસ્તારમાં એક દુકાન પર જીએસટી ચૂકવ્યાં વિના શર્ટ વેચી રહેલા એક વેપારીને 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.