જમ્મુકાશ્મીરને લઈને કન્ફ્યુઝન હજી ચાલુ જ છે. કાશ્મીર ઘાટીના નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. ઘાટીના નેતાઓમાં એવી બેચેની છે કે જમ્મુકાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ મોડી રાત્રે નેશનલ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા સાથે મુલાકાત કરી અને ઘાટીના બીજા નેતાઓ સાથે રાજ્યપાલને પણ મળવા પહોંચ્યાં હતાં.
આખરે પાર્ટીમાં આટલી અસમંજસ કેમ છે તે પણ સમજવું જ રહ્યું. હકીકતમાં કાશ્મીર ઘાટીમાં મોટાપાયે સુરક્ષા દળોની તહેનાતીએ મહેબૂબા મુફ્તી સહિત ઘાટીના અન્ય નેતાઓની ઉંઘ હરામ કરી નાંખી છે. તેમને આશંકા છે કે ઘાટીમાં કંઈક મોટું થવાનું છે. મહેબૂબા મુફ્તીએ રાત્રે જ સજ્જાદ લોન અને રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી.
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમે રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી અને તેમને અફવાઓને દૂર કરવાનો અનુરોધ કર્યો, જેના કારણે ઘાટીમાં દહેશતનો માહોલ બનેલો છે. હકીકતમાં આતંકી ખતરાને ધ્યાનમાં રાખતાં સરકારે અમરનાથ યાત્રા વચ્ચે જ રોકવાનો નિર્ણય કર્યો છે. અમરનાથ યાત્રીઓને ઘાટી છોડવાની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તો સુરક્ષાદળોની કાશ્મીર ઘાટીમાં ઉપસ્થિતી તેજીથી વધી રહી છે. ત્યારે આવામાં કાશ્મીર ઘાટીમાં સિયાસી પાર્ટીઓના શ્વાસ અદ્ધર થઈ ગયાં છે.
હવે સવાલ ઉઠે છે કે આખરે કાશ્મીર ઘાટીમાં આવો માહોલ બન્યો કેવી રીતે? ઘાટીની રાજનૈતિક પાર્ટીઓ એટલી બેચેન કેમ છે? હકીકતમાં બીજેપીની કાશ્મીર નીતિ મહેબૂબા મુફ્તી અને ફારુક અબ્દુલ્લા સારી રીતે જાણે છે પરંતુ અત્યારે ઘાટીમાં સુરક્ષા દળોની મોટા પાયે તહેનાતીથી અફવાઓને નવી પાંખો આવી છે. મોટા પાયે કાશ્મીર ઘાટીમાં સુરક્ષા દળોની તેજીથી વધતી ઉપસ્થિતિએ ત્યાંના સામાન્ય લોકોની બેચેની વધારી દીધી છે.
તો રાજ્યપાલ મલિકે નેતાઓને શાંત રહેવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી છે. રાજ્યપાલે રાજનૈતિક નેતાઓથી પોતાના સમર્થકો શાંતિ બનાવી રાખવા અને અફવાઓ પર ભરોસો ન કરવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાને લઈને ગુપ્તચર સૂચનાના હવાલાથી આતંકવાદી ખતરાની વાત કહેતાં જમ્મૂ-કશ્મીર પ્રશાસને ગઈકાલે એક એડવાઈઝરી જાહેર કરી હતી. આમાં પર્યટકો અને અમરનાથ તીર્થયાત્રીઓને ઘાટીથી જલદીથી જલદી જ પરત ફરવાની સલાહ આપવામાં આવી છે. જમ્મુકાશ્મીરના ગૃહ વિભાગે આ એડવાઈઝરી જાહેર કરી છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી ધમકીના ઈન્ટેલીજન્સ ઈનપુટ, ખાસ કરીને અમરનાથ યાત્રાને નિશાને લેવાની અને કાશ્મીર ઘાટીના સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખતાં અમરનાથ યાત્રીઓને ઘાટીથી જલદીથી જલદી પાછા ફરવાના નિર્દેશ આપ્યાં છે. ઈન્ટેલિજન્સ ઈનપુટને ધ્યાને રાખતાં કાશ્મીરમાં પહેલાં જ 10 હજારથી વધારે અર્ધસૈનિક દળ પહોંચી ચૂક્યાં છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)