તુલસી આહ ગરીબકી, કભી ન ખાલી જાય…

 

તુલસી આહ ગરીબકી, કભી ન ખાલી જાય, મુએ ઢોરકે ચામસે, લોહા ભસમ હો જાય

 

ગરીબ માણસ પાસે સાધન સંપત્તિ અથવા બળ નથી હોતાં જેના કારણે એ ધનવાન/બળવાન વ્યક્તિનો સામનો કરી શકે. પોતે સાચો હોવા છતાં ઘણીવાર એની પાસેનું બધુ જ છીનવી લેવામાં આવે એ એણે મૂંગા મોંએ જોયા કરવું પડે છે. પોતાની પ્રતિકાર કરવાની શક્તિ નથી પણ એની આંતરડી જરૂર કકળે છે. આ નિસાસો નુકશાન કર્યા વગર રહેતો નથી.

કબીરજી અહિયાં કહે છે “મુવે ઢોરકે ચામસે, લોહા ભસમ હો જાયે” લુહારની કુંડ જોઈ હોય તો એમાં ધમણ મરેલા ઢોરના ચામડામાંથી બને છે. એ ધમણમાંથી ફેંકતી હવા કોલસા એકદમ પ્રજ્વલિત કરે છે અને છેવટે મરેલા ઢોરના ચામડામાંથી બનેલ આ ધમણને કારણે આગમાં તપવા મૂકેલું લોખંડ લાલચોળ થઈ જાય છે અને ખૂબ તપી જાય ત્યારે એની સપાટી ઉપર લોહભસ્મ બને છે. આમ મરેલ ઢોરના ચામડામાંથી બનેલ ધમણને કારણે પ્રજ્વલિત અગ્નિ લોખંડને બાળીને ભસ્મ કરી દે છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)