સાવનકુમારે ‘સૌતન’ નો અંત બદલ્યો નહીં 

ફિલ્મ ‘સૌતન’ (૧૯૮૩) નો ક્લાઇમેક્સ બદલવામાં આવ્યો હોત તો કદાચ એને વધારે પસંદ કરવામાં આવી ના હોત. સાવનકુમાર ફિલ્મનું નામ બદલવા તૈયાર થયા હતા પણ ક્લાઇમેક્સ બદલ્યો ન હતો. નિર્દેશક સાવનકુમારની ‘સૌતન’ માટે બીજા હીરોએ ના પાડી દીધી હતી. રાજેશ ખન્નાએ ખુશીથી સ્વીકારી હતી. ઘણા અભિનેતાઓએ ‘સૌતન’ ને મહિલા કેન્દ્રિત ફિલ્મ માનીને ના પાડી દીધી હતી.

સાવનકુમારે વાર્તા લખી ત્યારે જ ઘણાએ ડરાવ્યા હતા કે આ ફિલ્મ માટે કોઈ જાણીતા અભિનેતા તૈયાર થશે નહીં. સાવનકુમારે જ્યારે રાજેશ ખન્નાને વાર્તા સંભળાવી ત્યારે પહેલાં તો એ કશું બોલ્યા જ ન હતા. તેથી શિર્ષક ગમ્યું નહીં હોય એમ વિચારીને ફિલ્મનું નામ બદલવાની તૈયારી બતાવી હતી. રાજેશ ખન્નાએ કહ્યું હતું કે સ્ક્રિપ્ટ પ્રમાણે એ યોગ્ય છે. એમણે સંમતિ આપ્યા પછી હીરોઈન તરીકે એક અભિનેત્રીને વાત કરી ત્યારે એ સાવનકુમાર જેવા ઓછા સફળ નિર્દેશક સાથે કામ કરવા તૈયાર થઈ ન હતી. તે નિર્દેશક બદલવામાં આવે તો કામ કરવા તૈયાર હતી.

રાજેશ ખન્નાએ કહ્યું હતું કે નિર્દેશક તો સાવનકુમાર જ રહેશે. એ પછી ટીના મુનિમ તૈયાર થઈ હતી. અન્ય ભૂમિકા પદ્મિની કોલ્હાપુરેએ સ્વીકારી હતી. ફિલ્મનું મોટાભાગનું શુટિંગ મોરિશિયસમાં કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી એ દેશ ભારતમાં પ્રવાસ સ્થળ તરીકે બહુ જાણીતો થયો હતો. ‘સૌતન’ના ગીતો પણ બહુ લોકપ્રિય થયા હતા. એમાં ‘શાયદ મેરી શાદી કા ખયાલ’ બહુ લોકપ્રિય રહ્યું છે. જ્યારે સાવનકુમારે આ ગીતની પંક્તિઓ સંભળાવી ત્યારે રાજેશ ખન્નાએ કહ્યું હતું કે બે બાળકોનો પિતા હોવાથી આવું ગીત ગાતા સારો લાગીશ નહીં. ત્યારે સાવનકુમારે વિશ્વાસ અપાવ્યો હતો કે આ ગીત બહુ જ પસંદ કરવામાં આવશે. ફિલ્મના અન્ય તમામ ગીતો લોકપ્રિય રહ્યા હતા.

ફિલ્મનું ફિલ્મફેર એવોર્ડ્સમાં પાંચ કેટેગરીમાં નામાંકન થયું હતું. એમાં ચાર ગીત-સંગીત માટે જ હતા. જોએક, એકપણ એવોર્ડ નસીબ થયો ન હતો. ફિલ્મ તૈયાર થઈ ગઈ અને રજૂઆતના એક સપ્તાહ પહેલાં વિદેશમાં એની પ્રિન્ટ મોકલી આપવામાં આવી હતી. ભારત માટે બે દિવસ પહેલાં પ્રિન્ટ તૈયાર થવાની હતી ત્યારે સાવનકુમારે ‘સૌતન’ નો ટ્રાયલ શૉ રાખ્યો હતો. તે બીજા કોઈ નિર્દેશકને ફિલ્મ બતાવવા માંગતા ન હતા. રાજેશ ખન્નાએ શક્તિ સામંતા અને રામાનંદ સાગરને બોલાવ્યા હતા.

ફિલ્મ જોયા પછી બંને સાથે વીસ મિનિટ સુધી ચર્ચા કર્યા બાદ રાજેશ ખન્નાએ સાવનકુમારને એમના બંગલા પર બોલાવ્યા હતા. સાગર અને સામંતાની સલાહ પછી એમને લાગ્યું હતું કે ફિલ્મનો ક્લાઇમેક્સ બરાબર નથી. એને બદલવો પડશે. એટલું જ નહીં ‘મેં તેરી છોટી બહેના’ ગીત કાઢી નાખવા કહ્યું હતું. સાવનકુમારે એમની સલાહ માનવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે હવે કશું થઈ શકે નહીં. ફિલ્મ બની છે એ પ્રમાણે જ રજૂ થશે. એમણે ‘સૌતન’ ના અંતમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. ફિલ્મ રજૂ થઈ ત્યારે પસંદ કરવામાં આવી હતી.