સનીની ‘અર્જુન’ ની સ્ક્રિપ્ટ પહેલાં એક ગીત તૈયાર હતું

નિર્દેશક રાહુલ રવૈલની ફિલ્મ ‘અર્જુન’ (1985) ની સ્ક્રિપ્ટ નક્કી થાય એ પહેલાં જ એક ગીત તૈયાર થઈ ગયું હતું. એમાં એસટી બસના દ્રશ્યો રાજ કપૂરના સૂચનથી આવ્યા હતા. ફિલ્મ સાથે સંકળાયેલી આવી અનેક રસપ્રદ વાતો રાહુલે પોતાના પુસ્તકમાં યાદ કરી છે. સની દેઓલ સાથેની ‘બેતાબ’ નું છેલ્લું શુટિંગ શિડ્યુલ ચાલી રહ્યું હતું ત્યારે નિર્માતા મોરાની બંધુઓએ એ ટીમ સાથે જ બીજી એક ફિલ્મનું નિર્માણ કરવાનું ગોઠવ્યું હતું. એ માટે લેખક જાવેદ અખ્તરે ‘બેટે’ નામથી બે ભાઇઓની વાર્તા સંભળાવી હતી અને સનીના ભાઈ તરીકે કુમાર ગૌરવનો વિચાર થયો હતો. કુમારે ના પાડ્યા પછી ઋષિ કપૂરને રાજી કરવામાં આવ્યા હતા.

ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલતું હતું ત્યારે સંગીતકાર રાહુલ દેવ બર્મને એક પોર્ટુગીઝ ગીતનો સંદર્ભ લઈ ધૂન બનાવીને બધાને સંભળાવી. એ ગીત ‘મામમૈયા કેરો મામા’ બધાને પસંદ આવ્યું અને એવું નક્કી કર્યું કે ફિલ્મમાં એક સ્થિતિ ઊભી કરીને બંને ભાઈઓ પર ફિલ્માવવું. સ્ક્રિપ્ટ હજુ તૈયાર થઈ ન હોવા છતાં શૈલેન્દ્ર સિંઘના સ્વરમાં ગીતનું રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. જ્યારે સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ ત્યારે લાગ્યું કે એ બરાબર નથી. બીજી કોઈ વાર્તા વિચારવી પડશે. રાહુલે આ વાતની જાણ ઋષિ કપૂરને કરી ત્યારે એમણે કહ્યું હતું કે ફિલ્મમાં હું હોઉં કે ના હોઉં પણ મારો સહયોગ તમારી સાથે રહેશે. તમે એક કામ કરજો કે જે પણ સ્ક્રિપ્ટ નક્કી થાય એમાં ‘મામમૈયા કેરો મામા’ ગીત જરૂર સામેલ કરજો. ફિલ્મ બની ત્યારે કુલ ચાર જ ગીતો હતા અને ઋષિ કપૂરની આગાહી મુજબ ‘મામમૈયા કેરો મામા, દુનિયા બુરા માને તો ગોલી મારો, દુશ્મન કો યે બતા દો દુશ્મની હૈ ક્યા’ ગીત ફિલ્મ ‘અર્જુન’ ની ઓળખ બની રહ્યું હતું.

 

વાર્તા નક્કી કરવામાં ઘણા મહિના નીકળી ગયા હતા. થોડા સમય પછી જાવેદ અખ્તર અને રાહુલ એક હોટલમાં યુવાનોની બેરોજગારીની ચર્ચા કરતાં હતા ત્યારે એક અખબારમાં બે ગેંગના સમાચાર વાંચી વાર્તા સૂઝી હતી. જે રાહુલને પસંદ આવી હતી. રાહુલે એ વાર્તા રાજ કપૂરને સંભળાવી અને એમને પસંદ આવી હતી. એમણે રાહુલને જૂની માન્યતાઓ ત્યજી નવી દ્રષ્ટિએ ફિલ્મ બનાવવા સૂચન કર્યું હતું. એના પર કામ શરૂ કરવામાં આવ્યું અને મુંબઈની પૃષ્ઠભૂમિ નક્કી કરવામાં આવી. પાત્રને વાસ્તવિક ગણાવવા નામ સાથે અટક રાખવામાં આવી હતી. સામાન્ય રીતે ત્યારે પાત્રોના ફક્ત નામ જ રાખવામાં આવતા હતા અટક અપાતી ન હતી.

રાહુલે સનીનું નામ ‘અર્જુન માલવણકર’ રાખ્યું. ‘શિવકુમાર’ ના પાત્ર માટે એવા કલાકારની જરૂર હતી જેના માટે કોઈ કલ્પના ના કરી શકે કે અસલમાં એ વિલન હોય શકે છે. રાહુલે થોડા દિવસ પહેલાં જ મહેશ ભટ્ટની ‘સારાંશ’ જોઈ હતી અને એમની પસંદગી કરી લીધી હતી. જ્યારે ફિલ્મ તૈયાર થઈ ગઈ અને રાજ કપૂરને બતાવવામાં આવી ત્યારે એમણે અનુપમ ખેરનો સાચો ચહેરો બહાર આવે છે અને રહસ્ય ખૂલે છે કે એણે સનીનો ઉપયોગ કર્યો હતો એ દ્રશ્ય પર ફિલ્મ અટકાવીને વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મેં આવું વિચાર્યું ન હતું. વાર્તામાં આ જબરદસ્ત વળાંક છે.

(ફિલ્મ ‘અર્જુન’ માં ડિમ્પલ કાપડિયા કેવી રીતે આવી અને એની ભૂમિકા ન રાખવાનું કેમ વિચારાયું એની રસપ્રદ વાતો હવે પછીના લેખમાં.)