તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને રવિવારે અમેરિકાને ચેતવણી આપી હતી કે દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમિની પર કોઈ પણ પ્રકારનો હુમલો યુદ્ધની ઘોષણા સમાન ગણાશે. તેમણે કહ્યું હતું કે ઈરાન પર થનારા દરેક હુમલાનો તે સંપૂર્ણ શક્તિથી જવાબ આપશે.
તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે જો ઈરાનના લોકોને તેમના જીવનમાં મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેનું મુખ્ય કારણ અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા લાદવામાં આવેલી લાંબા સમયથી ચાલતી શત્રુતા અને અમાનવીય પ્રતિબંધો છે. અમારા દેશના સર્વોચ્ચ નેતા સામે થતી કોઈ પણ આક્રમકતા ઈરાની રાષ્ટ્ર સામે સંપૂર્ણ યુદ્ધ સમાન છે.
તેમની આ ટિપ્પણી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ આવી છે. શનિવારે ‘પોલિટિકો’ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે ખોમિનીના લગભગ 40 વર્ષના શાસનને સમાપ્ત કરવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, તેમણે ઈરાની સર્વોચ્ચ નેતાને “બીમાર માણસ” ગણાવ્યા અને પોતાના જ લોકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે દેશને યોગ્ય રીતે ચલાવવા માટે નેતૃત્વે યોગ્ય ધ્યાન આપવું જોઈએ, જેમ હું અમેરિકામાં કરું છું, સત્તા પર કાબૂ રાખવા માટે હજારો લોકોની હત્યા કરવાની જરૂર નથી. તેમણે આગળ ઉમેર્યું, નેતૃત્વ સન્માન વિશે હોય છે, ભય અને મૃત્યુ વિશે નહીં.
ઈરાનમાં વિરોધ પ્રદર્શન કેમ?
હવે જો ઈરાનમાં ચાલી રહેલી અશાંતિની વાત કરીએ તો તે 28 ડિસેમ્બરે શરૂ થઈ હતી. દેશમાં વધતી મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓના કારણે લોકોનો ગુસ્સો તેહરાનથી દેશનાં શહેરોમાં ફેલાયો. વિરોધ પ્રદર્શન વધતા ઈરાની અધિકારીઓએ 8 જાન્યુઆરીએ ઈન્ટરનેટ અને ફોન સેવાઓને લગભગ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. આ પગલાને કારણે ઈરાનનો મોટા ભાગનો હિસ્સો બાહ્ય દુનિયા સાથે સંપર્કથી કપાઈ ગયો.
اگر سختی و تنگنایی در زندگی مردم عزیز #ایران وجود دارد، یکی از عوامل اصلی آن دشمنی دیرینه و تحریمهای غیرانسانی دولت امریکا و همپیمانان اوست.
تعرض به رهبری معظم کشورمان بهمنزله جنگ تمام عیار با ملت ایران است.— Masoud Pezeshkian (@drpezeshkian) January 18, 2026
ઈરાનમાં ઈન્ટરનેટ લગભગ સંપૂર્ણ રીતે બંધ હોવાના કારણે મૃત્યુઆંક હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી. અમેરિકા સ્થિત ઈરાની માનવાધિકાર સંગઠન HRANA અનુસાર ઓછામાં ઓછા 3090 લોકોનાં મોત થયાં છે. કેટલાંક કાર્યકર જૂથોનું માનવું છે કે આ સંખ્યા ઘણી વધુ હોઈ શકે છે. બીજી તરફ, 24,000થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.




