પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા ‘મન કી બાત’ દ્વારા પીએમ મોદીની નાગરિકોને અપીલ

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિકના ઉપયોગની માઠી અસર વિશે આજે જણાવ્યું અને હલકી ગુણવત્તાવાળી આ ચીજનો ઉપયોગ ન કરવાની નાગરિકોને અપીલ કરી છે.

વડા પ્રધાન મોદીએ એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ કાર્યક્રમની આજે 44મી આવૃત્તિમાં કહ્યું કે, હું દરેક જણને અપીલ કરું છું કે તેઓ પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવાના મહત્વને સમજે. આપણે નિશ્ચય કરીએ કે આપણે પોલીથીન, હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે પ્લાસ્ટિકથી થતું પ્રદૂષણ કુદરત, વન્યજીવન અને મનુષ્યોના આરોગ્ય પર માઠી અસર કરે છે.

આવતી પાંચમી જૂને ભારતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીઓનું ભારત યજમાન બનવાનું છે એ વાતની નોંધ લઈને વડા પ્રધાને કહ્યું કે આ વખતના વિશ્વ પર્યાવરણ દિવસનો થીમ છે – પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણને ખતમ કરો.