રાષ્ટ્રમંડલ નિયમો અંતર્ગત મેહુલ ચોક્સીનું ભારતમાં પ્રત્યાર્પણ શક્ય છે: એન્ટીગુઆ

નવી દિલ્હી- એન્ટીગુઆ અને બારબૂડા સરકાર દ્વારા ભારતને જાણ કરવામાં આવી છે કે, કોઈપણ દ્વિપક્ષીય કરાર નહીં હોવા છતાં પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી અને હીરા વેપારી મેહુલ ચોક્સીનું ભારતમાં પ્રત્યાર્પણ શક્ય છે કારણ કે બન્ને દેશો કોમનવેલ્થ દેશોના સદસ્ય છે.એન્ટીગુઆ અને બારબૂડા સરકારનો અભિપ્રાય છે કે, વર્ષ 1993ના પ્રત્યાર્પણ અધિનિયમની કલમ 7 હેઠળ એવો અવકાશ રહેલો છે કે, જો નવી દિલ્હી વિનંતી કરે તો ભારતના ભાગેડુ હીરા વેપારી અને પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી મોહુલ ચોક્સીને ભારત પરત મોકલવામાં આવી શકે છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ ઉપરોક્ત માહિતી એન્ટીગુઆ અને બારબૂડા સરકાર દ્વારા આ માહિતી ત્યાંના વિદેશપ્રધાન અને સોલિસિટર જનરલે એક મુલાકાત દરમિયાન ભારતીય રાજદૂતને આપી હતી. જો કે, CBIએ એન્ટીગુઆ સાથે ભાગેડુ હીરા વેપારી અને PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની ભારતમાં પ્રત્યાર્પણ માટેની પ્રક્રિયા પહેલેથી જ શરુ કરી દીધી છે.