નવી પેઢી માટે ‘ગાંધી’ ડિજિટલ પ્લેટફોર્મ પર, 2 ડીસેમ્બર સુધી દાંડી કુટિરમાં પ્રદર્શની યોજાઇ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહાત્મા ગાંધીજીના જીવન-કવન અને શાશ્વત ગાંધી મૂલ્યોની મલ્ટિમિડીયા-ડિઝીટલ પ્રસ્તુતિ કરતા પ્રદર્શનનો મહાત્મા મંદિર પરિસરમાં દાંડી કૂટિરમાં પ્રારંભ કરાવ્યો હતો. ભારત સરકારના લોકસંપર્ક બ્યૂરોની અમદાવાદ ક્ષેત્રીય પ્રદર્શન કચેરી દ્વારા આ પ્રદર્શન ર ડિસેમ્બર-ર૦૧૮ સુધી ખુલ્લુ રાખવામાં આવશે.

મુખ્યપ્રધાને મહાત્મા ગાંધીના સ્વચ્છતા, સ્વાવલંબન, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામીણ વિકાસ જેવા સમાજલક્ષી કાર્યોમાંથી યુવા પેઢી સદા-સર્વદા પ્રેરણા લઇને રાષ્ટ્રસેવામાં અગ્રેસર રહે તેવો અનુરોધ આ અવસરે કર્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે સ્વચ્છતા અભિયાન, ગ્રામ વિકાસ સહિત પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓથી ‘નયા ભારત’ના નિર્માણની જે શરૂઆત કરી છે તેને પણ આ પ્રદર્શનીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.ગાંધી આચાર-વિચારના પ્રસાર સાથે નયા ભારતની સંકલ્પના સાકાર થઇ રહી છે તેની પ્રત્યક્ષ અનૂભુતિ આ પ્રદર્શની સૌને કરાવશે. રૂપાણીએ પ્રદર્શની રસપૂર્વક નિહાળ્યા બાદ દાંડીકૂટિર પરિસરની પણ મૂલાકાત લીધી હતી.