જીએસટી પરિષદે ઈ-વે બિલને આપી મંજૂરી, એક જૂનથી થશે લાગુ

નવી દિલ્હીઃ દેશમાં જીએસટી સાથે સંકળાયેલા મામલાઓમાં સર્વાધિકાર પ્રાપ્ત જીએસટી કાઉન્સિલે ઈ વે બિલને મંજૂરી આપી છે. દેશભરમાં આ ઈ વે બિલને 1 જૂન 2018થી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાઉન્સિલે માલની નિકાસને લઈને આ બિલ લાગુ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી 2018 નક્કી કરી છે.

ઈ વે બિલ સુવિધા 15 જાન્યુઆરીથી પરીક્ષણના ભાગ રૂપે ઉપ્લબ્ધ થશે. નાણાંપ્રધાન અરૂણ જેટલીની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉંસીલની 24મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી વ્યવસ્થામાં 50 હજાર રૂપીયાથી વધારે મૂલ્યનો સામાન લાવવા લઈ જવા માટે આ ઈ બિલની આવશ્યકતા હશે. કોઈ એક રાજ્યમાં 10 કિલોમીટરના વિસ્તારમાં માલ સામાન મોકલવા માટે સપ્લાયરને જીએસટી પોર્ટલ પર તેની માહિતી ઉપ્લબ્ધ કરાવવાની કોઈ જરૂરીયાત રહેશે નહી.

આમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સ્તર પર ઈ વે બિલ લાગુ થવા સુધી રાજ્યોને અધિકાર આપવામાં આવ્યો છે કે તે ઈ વે બિલની પોતાની અલગ વ્યવસ્થા ચાલુ રાખી શકે છે. જો કે કેટલાક રાજ્યોમાં ઈ વે બિલની અલગ વ્યવસ્થા લાગુ થવા પર વ્યાપારીઓ અને ટ્રાંસપોર્ટરોનું કહેવું છે કે આના કારણે માલને બીજા રાજ્યમાં નીકાસ પરીવહનમાં સમસ્યાઓ આવી રહી છે. તેમણે જણાવ્યું કે સરકારને જલ્દી જ રાષ્ટ્રીય સ્તર પર ઈ વે બિલની વ્યવસ્થા લાવવી જોઈએ.