છઠ્ઠા નોરતે કરો માતા કાત્યાયનીની પૂજા, પુરુષાર્થ પ્રાપ્તિની કૂંચી

અમદાવાદઃ નવરાત્રિના શક્તિ ઉપાસનાના દિવસો છે. આસોની નવરાત્રિ એટલે આમ તો મૂલતઃ સાધનાનું પર્વ. નવરાત્રિ દરમિયાન માતાજીએ નવ દિવસ સુધી અલગઅલગ સ્વરૂપો ધારણ કર્યા હતા. ત્યારે નવરાત્રિના પાવન દિવસો દરમિયાન જો પૂર્ણ આસ્થા અને શ્રદ્ધા સાથે માતાજીની પૂજાઅર્ચના અને આરાધના કરવામાં આવે તો ખૂબ જ લાભ થાય છે. માતાજીના અલગઅલગ સ્વરૂપોની પૂજા અને આરાધના કરવાથી સિદ્ધિઓ અને ફળ પ્રાપ્ત થાય છે. આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. છઠ્ઠા નોરતે મહાશક્તિએ કાત્યાયની સ્વરૂપ ધારણ કર્યું હતું.

માતા દુર્ગાના કાત્યાયની સ્વરૂપનો ઘણો મહિમા છે. માતાજીનું નામ કાત્યાયની પડ્યું તે અંગે એક કથા છે. કત નામના એક મહર્ષિ હતા અને તેમના પુત્ર ઋષિ કાત્ય થયા. કાત્ય ઋષિએ માતા જગદંબાની ઉપાસના કરતાં ઘણા વર્ષો સુધી ઘોર તપસ્યા કરી હતી. ઋષિ કાત્યની ઈચ્છા હતી કે માતાજી તેમના ઘરે દીકરી સ્વરૂપે પધારે. ઋષિ કાત્યની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ભગવતીએ તેમની પ્રાર્થના સ્વીકારી લીધી.

મહર્ષિ કાત્યાયનના ઘરે માતાજી પુત્રીના રૂપે જન્મ્યા હતાં. અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો.

ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ મા કાત્યાયનીની પૂજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી. માતાજી બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.

અન્ય એક કથા અનુસાર જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે ભગવાન મહાદેવ, ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આ સ્વરુપની પૂજા કરી હતી અને એટલા માટે માતાજી કાત્યાયની નામથી ઓળખાયા.

મા કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ જ જાજરમાન અને માતાજીનું તેજ પણ અનન્ય છે. માતાજીને ચાર ભૂજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. માતાજીનું વાહન સિંહ છે.

માતા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખૂબ જ સરળતાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય ફળોની પ્રાપ્તિ થાય છે. મા કાત્યાયનીની પૂજા, અર્ચના, અને આરાધના કરતા ભક્તને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ પ્રાપ્ત થાય છે. તો સાથે જ જે કોઈ ભક્ત સાચા મનથી યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, અને શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મજન્માંતરના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે અને તે પાપોને વિનષ્ટ કરવા માટે માતા કાત્યાયનીના શરણે જઈ તેમની પૂજા અને ઉપાસના કરવી જોઈએ.

નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાજીના કાત્યાયની સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞાચક્રનું ખૂબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધકમાં કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે. (અહેવાલ- હાર્દિક વ્યાસ)

માતા કાત્યાયનીનો મંત્ર

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी॥